Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

સુરત મહાનગર પાલિકા એ રસ્તાઓની મરામત કરવા પાછળ ૫૪ કરોડ ખર્ચ કર્યો

૨૦૧૯-૨૦માં અંદાજે ૧,૩૭,૯૪૧.૦૧ ચો.મી ક્ષેત્રફળના રસ્તાઓ રિસર્ફેસીંગ કર્યા : ડામરની કિંમત સહિત અંદાજે ૮.૨૦ કરોડના ખર્ચે પોલીમરીક માર્ગ ટેકનોલોજીથી રસ્તાની મરામત કરી

સુરત : સુરત મહાનગર પાલિકા એ એ 2019-20માં રસ્તાઓના સમારકામ પાછળ 54 કરોડ ખર્ચ કર્યા. અંદાજે 1,37,941.01 ચો.મી. ક્ષેત્રફળના રસ્તાઓ રિસર્ફેસીંગ કરવામા આવ્યા છે

વિકાસની તેજ ગતિને જાળવી રાખવા કોરોના સંકટ વચ્ચે પણ સુરત મહાનગરપાલિકા  કાર્યરત છે. જે અંતર્ગત શહેરમાં વરસાદને કારણે ડામરના રસ્તાઓની ટોપ સરફેસમાંથી પાણી સબગ્રેડ સુધી પહોંચવાને કારણે રસ્તાઓ ઉપર થતા વારંવારના મેઈન્ટેનન્સ તથા નુકસાનને દુર કરવા માટે વર્ષ 2019-20માં અંદાજે 1,37,941.01 ચો.મી. ક્ષેત્રફળના રસ્તાઓ રિસર્ફેસીંગ કરવામા આવ્યા છે. ડામરની કિંમત સહિત અંદાજે રૂ 8.20 કરોડના ખર્ચે પોલિમરીક માર્ગ ટેકનોલોજીથી રસ્તા રિસર્ફેસિંગની કામગીરી કરવામાં આવી હતી.

ગત વર્ષ દરમિયાન અંદાજે 3.13 લાખ ચો.મી. વિસ્તારના વિવિધ રસ્તા/બ્રિજ તથા બ્રિજ એપ્રોચને રૂ 4.16 કરોડના ખર્ચે માઈક્રોસર્ફેસિંગ પધ્ધતિથી રિસર્ફેસિંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ નવી પધ્ધતિથી રિસર્ફેસિંગ કરવાથી રસ્તાની લાઈફ તથા સ્કિડ રેઝિસ્ટન્સમાં વધારો થાય છે, અને પાણીના કારણે રસ્તાને નુકસાન થવાનું નહિંવત બને છે.

રસ્તાના હયાત લેવલમાં પરંપરાગત પધ્ધતિની સરખામણીએ ખુબ જ નજીવો એટલે કે માત્ર 06થી 14 મી.મી. જેટલો જ વધારો થતો હોઈ આજુબાજુની મિલકતની સરખામણીએ રસ્તાના લેવલ જળવાઈ રહે છે, અને રિસર્ફેસિંગનો સમયગાળો લંબાવી રસ્તાની લાઈફ સાઇકલ કોસ્ટ ઘટાડી શકાય છે. રસ્તાના વધતા જતા લેવલના નિરાકરણ માટે સુરત શહેર વિસ્તારના રસ્તાઓને મિલીંગ કરવાના કામે અંદાજે 1,50,000 ચો.મી. વિસ્તારમાં રોડને રૂ. 1.62 કરોડના ખર્ચે મિલિંગ કરવામાં આવ્યા છે. આમ વર્ષ 2019-20માં આશરે રૂ. 54 કરોડથી વધુના ખર્ચે રસ્તાઓ રિસર્ફેસિંગ, રિકાર્પેટીંગ, મિલીંગ કરાયા છે.

સાઉથ-વેસ્ટ(અઠવા) ઝોનમાં સમાવિષ્ટ અંદાજે 3000 મીટર રોડ, ફુટપાથ, સ્ટ્રીટ લાઈટ, સ્ટ્રીટ ફર્નિચર, ટ્રાફિક સાઈનેજીસ, હોર્ટિકલ્ચર તેમજ લેન્ડ સ્કેપીંગના વિકાસકામ રૂ. 25.79 કરોડના ખર્ચે સંપન્ન થયું છે. ખાટુશ્યામ મંદિરથી વેસુ જંકશન સુધીના 2.85 કિ.મી. લંબાઈના રસ્તાને 45 મી. પુરેપુરી પહોળાઈમાં રૂ. 14.30 કરોડના ખર્ચે ડેવલપ કરાયું છે.

ઉપરાંત, પ્રધાનમંત્રીના સ્વચ્છતા મિશનના ભાગરૂપે સુરત શહેરમાંથી ઉત્પન્ન થતા ઘન કચરા પૈકી પ્લાસ્ટિક વેસ્ટ ડિસ્પોઝલની સમસ્યાના નિવારણ અર્થે શહેર વિસ્તારનાં બિટયુમીનસ રસ્તાઓમાં શ્રેડેડ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી રસ્તાઓ બનાવવામાં આવે છે. સુરતમાં ર૧.૯૬ કિ.મી. લંબાઈના રસ્તાઓને પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી રિકાર્પેટ કરવામાં આવ્યા છે. આ પદ્ધતિ મુજબ બનાવેલા બિટયુમીનસ રોડ ગ્લોબલ વોર્મિંગમાં તથા પ્રદુષણમાં ઘટાડામાં ઉપયોગી નીવડે છે. જેથી રોડની મજબુતાઈમાં વધારો થાય છે તેમજ પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી પર્યાવરણની જાળવણી અને પ્લાસ્ટિકનો રચનાત્મક ઉપયોગ થઇ શક્યો છે.

(7:00 pm IST)