Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ઓઢવમાં મુકેશ પ્રજાપતિ પર શખ્સ દ્વારા ગોળીબાર કરાયો

અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગમાં ડોકટર ઇજા : બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર : ઇજાગ્રસ્ત ડોકટરને વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે દાખલ કરાયા

અમદાવાદ, તા.૨૧ : અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે આજે સાંજે અજાણ્યા શખ્સોએ ડો. મુકેશ પ્રજાપતિ પર અચાનક જ ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, આ ફાયરીંગમાં ઇજાગ્રસ્ત ડોકટર પ્રજાપતિને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજીબાજુ, આરોપી શખ્સો ડોકટર પ્રજાપતિ પર ફાયરીંગ કર્યા બાદ ત્યાંથી નાસી છૂટયા હતા. ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસ પણ તાત્કાલિક ત્યાં દોડી આવી હતી અને આરોપી શખ્સોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ઓઢવના કરસનનગર પાસે પાણીની ટાંકી નજીક આજે બે અજાણ્યા શખ્સોએ ડો. મુકેશ પ્રજાપતિ પર નજીકથી ફાયરીંગ કરી તેમની હત્યાને અંજામ આપવાનો પ્રયાસ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. વસ્ત્રાલના આલોક બંગલોઝમાં રહેતા ડો.પ્રજાપતિ આજે બપોરે ચેક ભરવા જતાં ઓઢવ વલ્લભનગર ખાતેની બેંકમાં જઇ રહ્યા હતા તે દરમ્યાન તેમની પર આ ફાયરીંગ થયું હતું. ધોળાદહાડે જાહેરમાં આ પ્રકારે એક ડોકટર પર ફાયરીંગ થતાં સ્થાનિક લોકોમાં પણ ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. આ ફાયરીંગમાં ડો. મુકેશ પ્રજાપતિને હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી. ડો.પ્રજાપતિને અજાણ્યા શખ્સોએ એક જ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું, જેમાં તેમને હાથના ભાગે ગોળી વાગતાં તેઓ ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત ડોકટર પ્રજાપતિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ડોકટર પર ફાયરીંગ બાદ અજાણ્યા શખ્સો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે પણ સમગ્ર મામલામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવને પગલે ડોકટર આલમમાં પણ ભારે ચર્ચા ચાલી હતી.

(9:47 pm IST)