Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

સુરતની 17 વર્ષીય ખુશી ચિંદાલિયા બની દેશની ગ્રીન એમ્‍બેસેડરઃ યુએનઇપી દ્વારા તેણીની નિયુક્‍તિ

સુરત: પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાને લઈને સુરતની ખુશી ચિંદાલિયાને યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (યુએનઇપી) તુન્ઝા ઇકો-જનરેશન (ટીઇજી) દ્વારા ભારત માટે પ્રાદેશિક પ્રમુખ (આરએ) તરીકે નિયુક્ત કરવામાં આવી છે. માત્ર ૧૭ વર્ષની ખુશીએ પર્યાવરણની જાળવણીમાં નોંધાવેલી ભાગીદારીને લઈને તેને ભારત દેશની ગ્રીન એમ્બેસેડર બનાવાઈ છે. માનવ કુદરતનો જ એક અંગ છે. માનવ જીવન પર્યાવરણને અનુસરી રહ્યું છે. જેને લઈને ભારત દેશ ડેવલપમેન્ટ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેની અસર પર્યાવરણ પર ગાઢ રીતે જોવા મળી રહી છે. એટલે કે પર્યાવરણ તેનું સંતુલન ગુમાવી રહ્યું છે.

જેને લઈને સુરતની માત્ર ૧૭ વર્ષીય ખુશી ચિંદાલિયાએ પર્યાવરણનું જતન કરવા માટેના વિચારોને પ્રગટ કરવા માટે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામમાં ઓનલાઈન અરજી કરી હતી. આ વિચારોથી પ્રભાવિત થઈને ખુશીને ભારતની પ્રાદેશિક પ્રમુખ બનાવવામાં આવી છે. ગ્રીન એમ્બેસેડરનું બિરુદ મેળવેલ ખુશીના પિતા ટેકસટાઇલ બિઝનેસ ધરાવે છે. જ્યારે માતા એસ્ટ્રોલોજર છે. ખુશીએ તેના જીવનનો મોટો હિસ્સો પર્યાવરણની ઉપર કામ કરવામાં ખર્ચી કાઢ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી ટીઈજીની સાથે ખુશી વિવિધ જાગૃતિના પ્રોગ્રામ પર કામ કરશે.

મહત્વની વાત એ છે કે ખુશી ભારતના એ ૧૦૦ યુવાઓમાંથી એક છે. જેમના નિબંધ યુનેસ્કો તેમના પુસ્તકમાં પ્રદર્શિત કરશે. ખુશીએ વાતચીત કરતા જણાવ્યું કહ્યું હતું કે, પ્રકૃતિની અધોગતિ અને તેના પરિણામોની સમજ પ્રત્યેની મારી સંવેદનશીલતાએ મને પ્રેરણા આપી છે. પહેલા જ્યારે હું ન્યુ સિટીલાઈટ વિસ્તારમાં રહેવા આવી એ સમયે મારા ઘરની નજીક ચીકુનું ઝાડ હતું કે જે ઘણા પક્ષીઓનું ઘર હતું. જેમ જેમ મોટા થતા ગયા તેમ પર્યાવરણની જગ્યાએ સ્થાન કોન્ક્રીટે લઈ લીધું છે. ભારતમાં યુવાવર્ગ વધુ છે. ત્યારે જો પર્યાવરણીય સમસ્યાઓનું એનાલિસિસ કરીને એને યોગ્ય રીતે કાર્ય કરવામાં આવે તો ભારત દેશ પણ પર્યાવરણમાં પણ અગ્રીમતા હાંસલ કરી શકે છે.

(4:40 pm IST)