Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

૪૬૬૫૧ આયુષ્યમાન ભારત કાર્ડનું ગુજરાતમાં વિતરણ થયું

રાજ્યના તમામ જિલ્લાઓના ગરીબોને કાર્ડ : નેત્રદાન, અંગદાન અને દેહદાનના ૨૪૩૬૧ પત્રો એકત્રિત

અમદાવાદ,તા.૨૨ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તાજેતરના ૧૭ સપ્ટેમ્બરના ઉજવાયેલા જન્મ દિવસને  રાજ્યભરના ૧૫૦૧૦ જેટલા સ્વામી વિવેકાનંદ યુવાકેન્દ્રોના યુવાઓએ 'સેવા હી પરમો ધર્મ' સૂત્ર સાથે ઉજવીને ૨૫૨૫૨ મા કાર્ડ અને ૪૬૬૫૧ આયુષ્યમાન ભારત કાર્ડ  વિતરણ દ્વારા ૭૧૯૦૩ ગરીબ જરૂરતમંદ વ્યક્તિઓ પરિવારોને વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ મળે તે માટેનો  એક નવો  રાહ ચિંધ્યો છે. એટલુંજ નહિ જીવન બાદ પણ જીવનની સંકલ્પના સાકાર કરવા અંગદાન માટે લોકોને પ્રેરિત કરી નેત્રદાન, અંગદાન, દેહદાન માટેના૨૪૩૬૧ સંકલ્પપત્રો પણ મેળવ્યા છે. મા અને આયુષ્યમાન ભારત  યોજનાના કાર્ડ વિતરણની સંખ્યામાં મુખ્યત્વે જિલ્લાઓની વિગતો જોઈએ તો સૌથી વધુ લાભાર્થીઓ બનાસકાંઠામાં આવરી લેવાયા છે.

આ જિલ્લામાં ૨૨૦૨  મા કાર્ડ અને ૨૬૯૫ આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કરાયા છે. સાબરકાંઠામાં આ સંખ્યા અનુક્રમે ૧૧૧૦ અને૧૪૫૦ની તેમજ રાજકોટમાં ૨૦૯૯મા કાર્ડ અને  ૨૮૩૩ અંગદાન સંકલ્પપત્રો થયા છે. ખેડા જિલ્લામાં વિવેકાનંદ યુવા કેન્દ્રોના યુવાઓએ ૨૧૫૯ મા કાર્ડ અને ૨૯૩૫ આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કર્યાં છે.ભાવનગરમાં ૧૪૦૨ મા કાર્ડ અને૧૧૧૨ આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ સુરેન્દ્રનગરમાં આ સંખ્યા ૧૭૮૮ અને ૩૦૪૨ની રહી છે. મુખ્યમંત્રીએ ઝોનલ કેન્દ્રોના યુવા સંયોજકો સાથે બેઠક યોજીને તેમના આ અભિનવ સેવા કાર્યને બિરદાવ્યું હતું. મુખ્મંત્રી વિજય રૂપાણીની પ્રેરણા અને માર્ગદર્શનથી  ગુજરાત રાજ્ય  યુવક બોર્ડના માધ્યમ દ્વારા યુવા શક્તિને રચનાત્મક માર્ગે વાળી આવતીકાલના સક્ષમ રાષ્ટ્રના ઘડતરના આધાર બનાવવા  રાજ્યના ૩૩ જિલ્લામાં સ્વામી વિવેકાનંદ યુવાકેન્દ્રોની રચના કરવામાં આવી છે.રાજ્યભરમાં આવા ૧૫૦૧૦ સક્રિય યુવા કેન્દ્રો કાર્યરત છે. યુવા કેન્દ્રની બહુવિધ પ્રવૃત્તિ  તહેત સરકારની યોજનાઓની માહિતી અને લાભ તથા સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

(9:27 pm IST)