Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

પેટાચૂંટણી સંદર્ભે ઉમેદવાર પસંદગી માટે બેઠકોનો દોર

૨૪મીએ ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક : મુખ્યમંત્રીના આવાસે બેઠક થશે : સંગઠનમાં સંપર્ક-સંવાદ અને જનતા વચ્ચે સેવા સાથે ભાજપ કાર્યકરો કામ કરે છે

અમદાવાદ,તા.૨૨ : આજરોજ ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ, કોબા, ગાંધીનગર ખાતે મીડિયાના મિત્રો ને સંબોધતા જણાવ્યું હતું કે, આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી.સતીશની વિશેષ ઉપસ્થિતિમાં ઉત્તર ઝોનની બેઠક યોજાઇ હતી જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, પ્રદેશ મહામંત્રીઓ કેસી પટેલ અને શબ્દશરણ બ્રહ્મભટ્ટ તથા ઉત્તર ઝોનમાં આવતા જિલ્લા/મહાનગરોના જી. પ્રભારી,પ્રમુખ, મહામંત્રી, સંગઠનપર્વ અને સંગઠન ચૂંટણી અધિકારી સહિત અપેક્ષિત આગેવાનઓ ઉપસ્થિત રહ્યા હતા. પંડયાએ જણાવ્યું હતું કે, આજની આ બેઠકમાં સંગઠન સંરચના, સંગઠન પર્વ અન્વયે પ્રાથમિક સભ્ય નોંધણી, સક્રિય સભ્ય નોંધણી અને સમિતિની રચના અંગે પૂછપરછ, માહિતી આંકલન અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

               કેન્દ્રીય ભાજપા ની સુચના મુજબ ગુજરાત ભાજપાએ નવા ૨૦ લાખ પ્રાથમિક સદસ્યો ઉમેરવાના હતા પરંતુ પ્રદેશ ભાજપા દ્વારા ૫૦ ટકા એટલે કે ૫૦ લાખ  નવા પ્રાથમિક સદસ્યો ઉમેરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જે મંડલ/જિલ્લા/પ્રદેશ ની ટીમે આયોજનબદ્ધ રીતે કાર્ય કરી સફળતાપૂર્વક હાંસલ કર્યો છે તે બદલ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ બેઠકમાં ઉપસ્થિત ઉત્તર ઝોનના આગેવાનઓ ને અભિનંદન પાઠવ્યા હતા. રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી સતીષએ સંગઠનમાં સંપર્ક, સંવાદ, સમન્વય અને જનતાની વચ્ચે જઈને સેવા અને સંયમ સાથે કાર્યકર્તાઓને કામ કરવાની સલાહ  આપી હતી. અને તે મુજબ ગુજરાતનાં કાર્યકર્તા કામ કરે છે તેનો મને આનંદ છે તેમ જણાવ્યું હતું. પંડયાએ જણાવ્યું હતું કે ૨૫ સપ્ટેમ્બરે પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીના જન્મદિન નિમિત્તે ગુજરાતના તમામ ૫૧૮૫૧ બુથ પર પંડિત દિન દયાલજીના  ફોટા પર પુષ્પાહાર અર્પણ કરવામાં આવશે તેમજ તેમના જીવન ચરિત્ર અંગેની માહિતી કાર્યકર્તાઓ અને જનતાને આપવામાં આવશે. ૨૫મી સપ્ટેમ્બરનાં રોજબાકી રહેલી બુથ સમિતિની રચના બુથમાં જઈને તે કાર્ય પૂર્ણ કરવામાં આવશે.

                 ઓક્ટોબર મહિનામાં મંડલ સમિતિ, નવેમ્બર મહિનામાં જિલ્લા સમિતિ તથા ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં પ્રદેશ સમિતિની રચના પૂર્ણ કરવામાં આવશે. ભાજપાનો કાર્યકર "રાજકીય "નહીં પરંતુ "સામાજિક" કાર્યકર છે. ૧૪ સપ્ટેમ્બરથી ૨૧ સપ્ટેમ્બર સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે યોજાયેલ સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા/મંડલ સ્તરે આયોજિત થયેલ નિદાન કેમ્પ, વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમોની જિલ્લાવાર માહિતી લેવામાં આવી હતી. આ ઉપરાંત કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના સંદર્ભમાં આયોજિત ભાજપાના કાર્યક્રમ 'એક દેશ એક સંવિધાન- રાષ્ટ્રીય એકતા અભિયાન' અંતર્ગત જિલ્લા/મહાનગરોમાં યોજવામાં આવેલ રાષ્ટ્રીય એકતા સંમેલનો અને રેલીઓ અંગે ઉપસ્થિત આગેવાનશ્રીઓ પાસેથી માહિતી લેવામાં આવી હતી અને તમામ પ્રકારનાં યશસ્વી કાર્યક્રમો માટે પ્રદેશપ્રમુખે ખૂબ ખૂબ અભિનંદન આપ્યાં હતાં તેમ પંડ્યાએ જણાવ્યું હતું.

(9:24 pm IST)