Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

જમાલપુરમાં ઝઘડામાં વચ્ચે પડેલા યુવકની કરપીણ હત્યા

બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર :હજારીની પોળ ખાતે ઊભેલ પાંચેય મિત્રોએ યુવાનને માર માર્યો અને છાતીમાં છરીના ઘા મારતા કરૂણ મોત નિપજ્યું

અમદાવાદ, તા.૨૨ :     અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી હજારીની પોળ પાસે ગત મોડી રાતે યુવકની હત્યા કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ વિસ્તારમાં ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા યુવકને છાતીમાં છરીના ઘા મારી તેની હત્યા કરી નંખાઇ હતી. આ સમગ્ર પ્રકરણમાં ગાયકવાડ હવેલી પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. સાથે સાથે અન્ય ત્રણ આરોપીની શોધખોળ શરૂ કરાઇ છે.   પોલીસની પ્રાથમિક તપાસમાં વિગતો સામે આવી હતી કે, મૃતક રિયાઝુદ્દીન શેખ ભાજપનો કાર્યકર હતો. તે અગાઉ જમાલપુર વોર્ડમાં કોષાધ્યક્ષ હતો. તે આર.આર.ટ્રાન્સપોર્ટના નામે ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં હતો. તેની હત્યામાં સામેલ એક આરોપી અગાઉ પણ હત્યામાં સામેલ હતો. જમાલપુર વિસ્તારમાં રહેતો રિયાઝુદ્દીન શેખ નામનો યુવક ગઈકાલે મોડી રાતે હજારીની પોળ પાસે તેના મિત્ર સાથે ઊભો હતો ત્યારે ૫ાંચ જેટલા શખ્સ ત્યાં આવ્યા હતા. રિયાઝુદ્દીનના મિત્ર સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. જેમાં રિયાઝુદ્દીન છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. જેમાં પાંચેય તેને માર માર્યો હતો અને છાતીમાં છરીના ઘા મારી દીધાં હતાં. હત્યા બાદ તેઓ ત્યાંથી નાસી ગયા હતા. ગાયકવાડ હવેલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. જો કે, બાકીના ત્રણ આરોપીઓને પકડવાના ચક્રો પણ પોલીસને ગતિમાન કર્યા હતા. યુવકની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(8:01 pm IST)