Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

સીએમ વિજય રૂપાણીએ રાજ્યપાલની અચાનક જ મુલાકાત લીધી

કેબિનેટના વિસ્તરણને લઈને અટકળો તેજ બની : સંગઠનમાં લાંબો સમય સુધી કામ કરનારા વાઘાણીને હવે મંત્રીપદ અપાય છે કે કેમ તેના પર આ વખતે નજર રહેશે

ગાંધીનગર, તા. ૨૨ : સી.આર. પાટિલને પ્રદેશ પ્રમુખ બનાવી ભાજપના સંગઠનમાં ફેરફાર કરાયા છે, ત્યારે હવે સરકારમાં પણ નવા ચહેરાઓને સામેલ કરવાને લઈને અટકળો તેજ બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સીએમ રૂપાણીએ આજે અચાનક જ રાજ્યપાલ સાથે મુલાકાત કરતા કેબિનેટમાં વિસ્તરણ કરાય તેવી અટકળો શરૂ થઈ ગઈ છે. સંગઠનમાં લાંબો સમય કામ કરનારા જીતુ વાઘાણીને પણ હવે મંત્રીપદુ અપાય છે કે કેમ તેના પર પણ આ વખતે નજર રહેશે.

ભાજપે જીતુ વાઘાણીની ટર્મ પૂરી થતાં તાજેતરમાં જ સંગઠનમાં મોટો ફેરફાર કરતા પહેલીવાર બિનગુજરાતી એવા સીઆર પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. અત્યારસુધી પક્ષમાં આ પદ પાટીદાર કે ક્ષત્રિયને જ સોંપવાની પરંપરા હતી, જેને પહેલીવાર તોડવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો, સી.આર. પાટીલ પીએમ મોદીના ખૂબ જ વિશ્વાસુ છે. પાટીલને પ્રમુખ બનાવવાનો નિર્ણય પણ પીએમનો જ હતો, અન તેમણે આ અંગે અમુક લોકોને જ જાણ કરી હતી.

૨૦૧૭માં થયેલી વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા એકલ-દોકલ નેતાઓને મંત્રી બનાવવા સિવાય કેબિનેટમાં મોટા ફેરફાર નથી થયા. તેવામાં આ વખતે સરકાર આગામી સમયમાં આવી રહેલી આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી તેમજ કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણીઓને પણ ધ્યાનમાં રાખીને કેબિનેટમાં વિસ્તરણ કરવામાં આવે તેવી શક્યતા છે.

સીઆર પાટીલને પ્રમુખ બનાવાયા તેની જાણ રૂપાણીને પણ અગાઉથી નહોતી કરવામાં આવી. એક તરફ કોંગ્રેસે હાર્દિક પટેલને સંગઠનમાં મહત્વનું પદ સોંપી પાટીદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે હવે કેબિનેટમાં ફેરફાર કરી ભાજપ જ્ઞાતિનું સમિકરણ કઈ રીતે બેસાડે છે તે જોવાનું રહેશે.

(7:52 pm IST)