Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

હરેન પંડ્યા હત્યા કેસ : દોષિત આખરે જેલ ભેગા કરી દેવાયા

મુખ્ય આરોપી અસગર અલીને હૈદરાબાદથી લવાશે : શરણાગતિ સ્વીકારવા આવેલા આઠ દોષિતોને વધુ સમય આપવાનો ઇનકાર કરી જેલ ભેગા કરી દેતા ચર્ચાનો અંત

અમદાવાદ, તા.૨૨ : ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો પલટાવી તાજેતરમાં ૧૨ ને દોષિત ઠરાવ્યા હતા. જેમાંથી ત્રણે સજા ભોગવી લીધી છે, જ્યારે આઠને આજીવન કેદની અને એક દોષિતને જીવે ત્યાં સુધી કારાવાસની સજા ભોગવવાની છે. જેને પગલે સીબીઆઇએ અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાંથી ૯ દોષિતો સામે વોરન્ટ મેળવવા માટે અરજી કરી હતી. જેને કોર્ટે મંજૂર કરી નવ દોષિત સામે વોરન્ટ ઈસ્યુ કર્યાં હતા. ત્યારબાદ ૯માંથી ૮ દોષિતો કોર્ટમાં હાજર થયા હતા. જ્યારે એક દોષિત અસગર અલી હાલ હૈદરાબાદની જેલમાં છે, જેને હવે ગુજરાત લાવવામાં આવશે. આ પહેલા આઠ દોષિતોએ શરણાગતિ માટે પારિવારિક કામ હોવાનું કારણ દર્શાવી એક અઠવાડીયાનો સમય માંગ્યો હતો. પરંતુ કોર્ટે દોષિતોની માંગ ફગાવી જેલ ભેગા કરવાનો હુકમ કર્યો હતો. આમ, હરેન પંડયા હત્યા કેસના દોષિતો આખરે જેલ ભેગા થયા હતા. સુપ્રીમ કોર્ટે કલીમ એહમદ કરીમી, અનિસ માચીસવાલા, મહમ્મદ યુનુસ સરેશવાલા, રેહાન પૂંઠાવાલા, મહમ્મદ રિયાઝ, મહમ્મદ પરવેઝ શેખ, પરવેઝ ખાન પઠાણ સિદ્દીકી અને મહમ્મદ ફારૂક ઉસ્માનગનીને આજીવન કારાવાસની તથા મહમ્મદ અસગર અલીને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારવામાં આવી છે. પોટા કોર્ટના જજ સોનિયાબેન ગોકાણીએ સાક્ષી અનિલ યાદવરામની જુબાની તથા હત્યાના હથિયાર, કોલ ડિટેલ્સ અને હૈદરાબાદના અસગરઅલીની અમદાવાદમાં હાજરી સહિતની બાબતોને આધારે ૧૨ આરોપીઓને દોષી ઠેરવીને સજા આપી હતી. બાદમાં જસ્ટિસ ડી.એચ.વાઘેલા અને જસ્ટિસ જે.સી.ઉપાધ્યાયની બેન્ચે નજરે જોનાર સાક્ષી યાદવરામની જુબાની ગ્રાહ્ય રાખી નહોતી અને સીબીઆઇની તપાસને અયોગ્ય ઠેરવી આરોપીઓને દોષમુક્ત ઠેરવવાનો આદેશ આપ્યો હતો. જો કે, આખરે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ વિનીત સરનની બેન્ચે હરેન પંડયા હત્યા કેસના ૧૨ આરોપીઓને તાજેતરમાં જ દોષિત ઠરાવ્યા હતા. ૧૨માંથી બે આરોપીની સજાની મુદ્દત પૂર્ણ થઈ છે જ્યારે એક આરોપીના કેસમાં હાઇકોર્ટે ચુકાદો બદલ્યો હોવાથી સેશન્સ કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો.

હરેન પંડયાની ૨૦૦૩માં ઘાતકી હત્યા થઇ હતી....

અમદાવાદ, તા. ૨૨ : ગત તા.૨૬ માર્ચ, ૨૦૦૩ના રોજ અમદાવાદના લો ગાર્ડન પાસે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી કારમાં હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ આ હત્યા કેસમાં તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી એલ.કે અડવાણીએ અંડરવર્લ્ડની સંડોવણીની શંકા વ્યક્ત કરી હતી. આ હત્યાને પગલે એપ્રિલ, ૨૦૦૩માં હૈદરાબાદમાંથી અસગર અલી તથા ચાર અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તા.૨૫ જૂન, ૨૦૦૭ના રોજ હરેન પંડ્યા હત્યા કેસમાં નવને આજીવન કેદ, બે આરોપીઓને સાત વર્ષની કેદ ફટકારવામાં આવી હતી.

(8:41 pm IST)