Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

બનાસકાંઠામાં ૧પ વર્ષ પહેલા મૃત્યુ પામનાર મહિલા અચાનક જીવતી સામે આવતા હડકંપ મચી ગયોઃ પ્રેમ અને પ્રેમિકાનો ભાંડો ફૂટ્યો

બનાસકાંઠા :બનાસકાંઠામાં 15 વર્ષ પહેલાં મૃત્યુ પામનાર મહિલા અચાનક જીવતી સામે આવતા હડકંપ મચી ગયો છે. પ્રેમિકાને પામવા અસ્થિર મગજની નિર્દોષ મહિલાને મોતને ઘાટ ઉતારી ખોટા પુરાવા રજૂ કરી જીવતી મહિલાને મૃતક બતાવી 15 વર્ષથી પોતાની પ્રેમિકા સાથે જીવન ગુજારી રહેલા શખ્સ અને તેની પ્રેમિકાનો ભાંડો આખરે ફૂટ્યો હતો. ત્યારે સમગ્ર મામલે પાલનપુર એલસીબી પોલીસે ચાર લોકોની અટકાયત કરી જેલ હવાલે કર્યા છે.

બનાસકાંઠા એલસીબી પોલીસે બે માસ અગાઉ રૂપિયા 20 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી અને શિહોરીના ખીમાણા ગામના વિજુભા મણાજી રાઠોડની અટકાયત કરી હતી. જોકે પોલીસે શખ્સ કોઈ બીજા ગુનામાં પણ સંડોવાયેલો છે કે કેમ તે અંગેની વધુ પૂછપરછ કરતાં એક સનસનીખેજ ખુલાસો બહાર આવ્યો હતો. જેમાં પંદર વર્ષ અગાઉ વિજુભા મણાજી રાઠોડને ભીખીબેન પ્રકાશભાઇ પંચાલ નામની સ્ત્રી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને બંને પતિ પત્ની તરીકે સાથે રહેવાના સોગંદ ખાધા હતા. જેથી અન્ય બે શખ્સો જેણાજી ઉમેદજી પરમાર (ઠાકોર) તેમજ વખતસિંહ દેવચંદજી પરમાર (ઠાકોર) નામના બે શખ્સો સાથે મળી અને એક અસ્થિર મગજની શારદાબેન ચોથાભાઇ રાવળ નામની સ્ત્રીનું અપહરણ કરી અને તેને ભીખીબેન પ્રકાશભાઇ પંચાલ તરીકે ખપાવી તેની હત્યા કરીને તેને સળગાવી નાખવાની યોજના બનાવી હતી.

2 ફેબ્રુઆરી, 2005ના રોજ રાત્રે નવેક વાગ્યે ચારેય શખ્સોએ ભેગા મળી અને એક જીપમાં અસ્થિર મગજની સ્ત્રીને લઈને તેનું ગળું દબાવીને મોત નિપજાવ્યું હતું. તે બાદ પૂર્વ આયોજન મુજબ ભીખીબેન પંચાલે પોતાની સાસરીના ઘરેથી કેરોસીનનું ડબ્બો લાવી અને અસ્થિર મગજની મહિલાનો ચહેરો ઓળખાય તે રીતે સળગાવી નાંખી હતી. તેમજ ભીખીબેન પંચાલની હત્યા થઈ છે તેમ ખોટા પુરાવા ઉભા કરવા સાડી અને બીજા પુરાવા તેની બાજુમાં મૂકી અને ભાગી ગયા હતા. બીજી તરફ, ભીખીબેનના સાસરિયાઓએ પોલીસ સ્ટેશનમાં તેમના મોત બાબતે ફરિયાદ પણ નોંધાવી હતી.

આમ, બે માસ અગાઉ રૂપિયા 20 લાખની ઘરફોડ ચોરીના ભેદમાં પકડાયેલા શખ્સને વધુ પૂછપરછ હાથ ધરાતા વર્ષો પહેલા થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. મામલે પોલીસે મહિલા અને તેના પ્રેમી સહિત ચાર શખ્સોની અટકાયત કરી જેલના હવાલે કર્યા છે.

(5:59 pm IST)