Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

અમદાવાદમાં મેઘરાજાએ દેખા દીધી પણ નિરાશા જ

શહેરના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ : એસજી હાઇવે, ઘાટલોડિયા, વાડજ, પાલડી, કૃષ્ણનગર, મેમનગર, નવરંપુરા સહિતના અનેક વિસ્તારોમાં નોંધાયો

અમદાવાદ, તા.૨૧ : ઘણા લાંબા સમય બાદ આખરે અમદાવાદ શહેરમાં આજે મેઘરાજાએ પધરામણી કરતાં શહેરીજનો થોડા ખુશ થઇ ગયા હતા પરંતુ તેમની આ ખુશી બહુ વધુ સમય માટે રહી ન હતી કારણ કે, મેઘરાજા અમદાવાદમાં જોઇએ એ પ્રકારે મન મૂકીને વરસ્યા ન હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં આજે ઝરમર-ઝરમર અને હળવા વરસાદી ઝાપટાં નોંધાયા હતા તો વળી કયાંક છૂટાછવાયા કિસ્સામાં ભારે વરસાદી ઝાપટુ નોંધાયું હતું. વરસાદના કારણે વાતાવરણમાં સહેજ ઠંડક પ્રસરી હતી અને કંઇક અંશે નગરજનોને રાહત થઇ હતી. છેલ્લા કેટલાય દિવસો બાદ આજે અમદાવાદ શહેરમાં મેઘરાજાની પધરામણી થઇ હતી. વહેલી સવારે જ શહેરના વિવિધ વિસ્તારોમાં ઝરમર-ઝરમર વરસાદ શરૂ થઇ ગયો હતો. શહેરમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. સવારથી જ શહેરના વિસ્તારમાં વરસાદ પડવાની શરૂઆત થઇ ગઇ હતી. શહેરના એસજી હાઇવે, ઘાટલોડિયા, નવા વાડજ, પાલડી, કૃષ્ણનગર, મેમનગર, નવરંપુરા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા નોંધાયા હતા. જો કે, આ વરસાદથી શહેરમાં કયાંય પાણી ભરાયા ન હતા કે, વાતાવરણમાં પણ જોઇએ તેવી ઠંડક પ્રસરી ન હતી. અલબત્ત, ગરમી અને ઉકળાટમાંથી થોડા સમય માટે નગરજનોને કંઇક રાહત અનુભવાઇ હતી પરંતુ મેઘરાજા મન મૂકીને નહી વરસતા શહેરીજનો થોડા ઉદાસ પણ થયા હતા. જો કે, લાંબા સમય બાદ વરસાદના ઝાપટાથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જેમ અમદાવાદમાં પણ મેઘરાજા મન મૂકીને વરસે તેવી પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. 

(9:28 pm IST)