Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

કોંગ્રેસ રાજયસભા ચૂંટણીમાં માત્ર બે જ ઉમેદવાર ઉતારશે

ભાજપ જયશંકર અને બલવંતસિંહને ઉતારશે : બન્ને બેઠકોની ચૂંટણી અલગ અલગ બેલેટથી યોજાવાની હોવાથી બન્ને બેઠકો પર ભાજપનો વિજય લગભગ નક્કી

અમદાવાદ,તા. ૨૨ :    ગુજરાતમાં આગામી તા.૫ જુલાઈના રોજ રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણી યોજાશે. આ બન્ને બેઠકોની ચૂંટણી અલગ અલગ બેલેટથી યોજાવાની છે ત્યારે બન્ને બેઠકો પર ભાજપનો વિજય લગભગ નક્કી છે. તે સંજોગોમાં ભાજપ આ બન્ને સલામત બેઠકો પર કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરની સાથે બીજા ઉમેદવાર તરીકે બલવંતસિંહ રાજપૂતને મેદાનમાં ઉતારે એવી શક્યતાઓ સેવાઇ રહી છે. બીજીબાજુ, લોકસભા ચૂંટણીના કારમી હારના પરિણામો બાદ હતાશ થયેલી કોંગ્રેસ આ ચૂંટણીમાં પોતાની હાર નક્કી હોવાનું માની લઈને એકપણ ઉમેદવાર ન ઉભો રાખે એવી સંભાવના ચાલી રહી છે. જો એમ થાય તો આ ચૂંટણી બિન હરિફ થઈ શકે છે. પરંતુ હજુ છેલ્લી ઘડીયે કોંગ્રેસની છાવણીમાં કોઇ નવી વ્યૂહરચના કે રણનીતિ નક્કી થાય તો કોઇપણ ફેરફાર શકય છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ રાજયસભાની બે બેઠકો માટે તેના પણ બે ઉમેદવારો મેદાનમાં ઉતારવાના સંકેતા આપ્યા છે. જો કે, નામોને લઇ હાલ મોવડીમંડળ સાથે મહત્વની ચર્ચા વિચારણા ચાલી રહી છે અને તે ફાઇનલ થયા બાદ નામોની જાહેરાત કરાશે. આ બન્ને બેઠકમાંથી એક પર વિદેશમંત્રી એસ.જયશંકરને રાજ્યસભામાં મોકલવામાં આવશે, કારણ કે એસ.જયશંકર હાલ એકપણ ગૃહના સભ્ય નથી. માત્ર એટલું જ નહીં, આ બેઠક સરળતાથી જીતી શકાય તેમ હોવાથી એસ.જયશંકરને જીત માટે કોઈ વિશેષ મહેનત કરવાની રહેશે નહી. તો બીજી તરફ બીજી બેઠક માટે બલવંતસિંહની ઉમેદવારી પાછળનું કારણ એ છે કે, ઓગસ્ટ ૨૦૧૭માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં બલવંતસિંહનો કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલ સામે પરાજય થયો હતો. જેથી ભાજપે તે વખતે રાજ્યસભામાં જવાથી ચૂકી ગયેલા

બલવંતસિંહને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લીધો હોવાનું મનાઇ રહ્યું છે. જો ગુજરાતમાં રાજ્યસભાની એક સાથે બે બેઠકની ચૂંટણી થાય તો અપૂરતી ધારાસભ્યોની સંખ્યાને કારણે ભાજપને બે પૈકી એક બેઠક ગુમાવવી પડે તેવી સ્થિતિ સર્જાવવાની શકયતા છે. પરંતુ કેન્દ્રીય ચૂંટણીપંચે બંને બેઠકોની ચૂંટણીની પ્રક્રિયા એકસાથે પરંતુ મતદાન અલગ અલગ યોજવાનું જાહેરનામુ બહાર પાડતા ગુજરાતમાં પ્રથમ વખત એક જ દિવસે થનારી ચૂંટણી બે અલગ અલગ ચૂંટણી ગણાશે. પરિણામે ભાજપના ધારાસભ્યોની સંખ્યા પ્રમાણે બે બેઠક જાળવવામાં ચૂંટણીપંચે જ રસ્તો સરળ કરી દીધો છે. જો, બે બેઠકની ચૂંટણીનું મતદાન એક જ સાથે કરીને એક જ ચૂંટણી ગણી હોત તો ભાજપને બે બેઠક જાળવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય તોડવા પડત,પણ હવે કોંગ્રેસના ધારાસભ્યો તોડવો નહીં પડે કે ક્રોસ વોટિંગ કરાવવાની પણ જરૂરિયાત નહીં રહે. આમ કોંગ્રેસને એકપણ બેઠક ન મળે એવી પુરી શક્યતા છે. ચૂંટણીપંચના આ જાહેરનામાને લઈ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેની તા.૨૫ જૂને સુનાવણી હાથ ધરાનાર છે ત્યારે તે કેસની સુનાવણી પર રાજકીય નજરો મંડાઇ છે. ગુજરાત રાજ્યસભામાંથી ચૂંટાયેલા અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની લોકસભા ચૂંટણીમાં જીત થયા બાદ બન્નેએ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામા આપ્યા હતા. જેને પગલે ખાલી પડેલી રાજ્યસભાની આ બન્ને બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. રાજયસભાની ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસમાં રાજકીય વ્યૂહરચના અને રાજનીતિની કવાયત તેજ બની છે.

(8:01 pm IST)