Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ગાંધીધામમાં બે પરપ્રાંતીય મજુર વચ્ચે બઘડાટી : યુવકનું ધારદાર છરીથી ગળું વેતરી કરપીણ હત્યા

યુવકની પાણી ભરેલી બાલ્ટીથી સ્નાન કરી લીધું હોવાના મુદ્દે બેઉ વચ્ચે ઘર્ષણ

 

ગાંધીધામના મીઠીરોહર નજીક રૂચિ સોયા કંપનીમાં કામ કરતાં બે પરપ્રાંતિય મજૂર વચ્ચે નજીવી બાબતે ઝઘડો થતાં એક યુવકે ધારદાર છરી વડે બીજાનું ગળું વેતરી નાખી કરપીણ હત્યા કરી નાખી છે.મૃતકે હત્યારા યુવકની પાણી ભરેલી બાલ્ટીથી સ્નાન કરી લીધું હોવાના મુદ્દે બેઉ વચ્ચે ઘર્ષણ થયું હતું.

 બનાવ અંગે મૃતકના સહકર્મી કુલદીપસિંગ ઊર્ફે ટિંકુ પ્રેમચંદ રાઠોડે મુન્નાખાન ઊર્ફે રસીદખાન બશીરખાન પઠાણ નામના યુવક વિરુધ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાવી છે.

 મૃતક 21 વર્ષિય મનીષ ભરત પાલ અને ફરિયાદી કુલદીપસિંગ સહિત કુલ યુવકો ઉત્તરપ્રદેશના મૈનપુરી જિલ્લાના વતની છે અને મીઠીરોહરની રૂચિ સોયા કંપનીમાં મજૂરીકામ કરે છે. છએ યુવકો અહીં આવેલા ઈન્દિરાનગરના 36 ક્વાર્ટરમાં જગદીશ અયાચીના પ્લોટમાં બાંધેલી એક ઓરડીમાં સાથે રહે છે. હત્યારા મુન્નાખાનની પાણી ભરેલી બાલદીથી મનીષે સ્નાન કરી લેતાં બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. બાબતનો ખાર રાખી મુન્નાખાને મનીષના ગળા પર છરી વડે ઘા કરતાં તે ગંભીર રીતે ઘવાયો હતો.

 ઘાયલ મનીષ ઈજાના કારણે બોલી શકતો નહોતો પણ તેણે પાણીની ટાંકી પર બેઠેલાં મુન્નાખાન તરફ હાથનો ઈશારો કરી ફરિયાદી અને અન્ય યુવકોને જણાવ્યું હતું કે, મુન્નાખાને તેને ગળામાં છરી મારી છે. લોહી નીંગળતી હાલતમાં મનીષને હોસ્પિટલે ખસેડાય તે પહેલાં તે મૃત્યુ પામ્યો હતો તેના મૃતદેહને પીએમ માટે ગાંધીધામની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(8:52 am IST)