Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

આંકલાવના લાલપુરામાં ડમ્પર ચાલકે વીજ કરંટ લાગતા હોસ્પિટલમાં મોત

આંકલાવ:તાલુકાના લાલપુરા પરામાં રહેતા ૩૫ વર્ષના ડમ્પર ચાલકે ડમ્પરનું હાઈડ્રોલિક ઊંચું કરતા તે હાઈડ્રોલિક મધ્ય ગુજરાત વીજ કંપનીની અગિયાર હજાર વોલ્ટની લાઈનને અડી જતાં વીજ કરંટ લાગવાથી સમયસરની સારવાર ના મળતાં આંકલાવની સરકારી હોસ્પીટલમાં મોત થયું હતુ. જેને લઈને પરિવારજનોએ ભારે હોબાળો મચાવી દીધો હતો. 

 


પ્રાપ્ત માહિતી અનુસાર કહાનવાડી ગામના તાબે આવેલા લાલપુરામાં રહેતા અને ડ્રાઈવીંગ કરીને ગુજરાન ચલાવતા ૩૫ વર્ષીય અશોકભાઈ રામાભાઈ ભોઈ આજે સવારે આઠ કલાકના સુમારે રેલવે લાઈનની જગ્યા પર ડમ્પર વડે માટી નાખવાનું કામ કરી રહ્યા હતા. ડમ્પરમાંથી માટી ખાલી કરતી વખતે ડમ્પર ત્યાંથી પસાર થતી અગિયાર હજાર વોલ્ટ લાઈનને હાઈડ્રોલીક અડી ગયું હતુ. જેને લઈને ડ્રાઈવર અશોકભાઈ રામાભાઈ ભોઈને અકસ્માતે કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતાં અશોકભાઈ શરીરે સખત દાઝી ગયા હતા. જેઓને સારવાર માટે તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સ વાન મારફતે આંકલાવ ખાતેની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આંકલાવ પોલીસે અપમૃત્યુનો કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:13 pm IST)