Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

નડિયાદ નજીક પીપલગમાં બીમારીથી કંટાળી પરિણીતાએ કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું

નડિયાદ: નજીક આવેલા પીપલગ ગામ પાસેથી પસાર થતી મોટી કેનાલમાથી આજે સવારના સમયે એક મહિલાની લાશ મળી આવી હતી. કેનાલમાં લાશ તણાઇને જઇ રહી હોઇ સ્થાનિક તરવૈયાઓએ કેનાલમાં છલાંગ લગાવી લાશને બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. લાશ અંગે જાણ થતા જ પોલીસ પણ તુરંત સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી. જોકે તપાસ દરમ્યાન માલુમ પડ્યુ હતુ કે મૃતક સેજલબેન દિપ્તેસભાઇ વણકર (ઉ.૩૮)ના લગ્ન નડિયાદ વૈશાલી સિનેમાં પાછળ આવેલ વણકર વાસ ખાતે રહેતા દિપ્તેશભાઇ પરમાર સાથે થયા હતા. ૨૦૦૯માં લગ્ન થયા બાદ તેઓને પરિવારમાં દીકરો અને દીકરી એમ બે સંતાનો પણ છે. પરંતુ તેઓને છેલ્લા કેટલાક સમયથી ભૂલવાની માનસિક બીમારી થઇ હોઇ તેમની સારવાર અમદાવાદ અને મુંબઇ ખાતે ચાલી રહી હતી. આગામી તા.૧૪ માર્ચના રોજ તેઓને મુંબઇ સારવાર માટે દાખલ પણ કરવાના હતા. પરંતુ બીમારીથી કંટાળી ગયેલ સેજલબેને આજે સવાર પહેલા કોઇપણ સમયે નડિયાદ પાસેથી પસાર થતી મોટી કેનાલમાં છલાંગ લગાવી દઇ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધી હતી. સેજલબેનના મૃત્યુના સમાચારથી તેમના સમગ્ર પરિવારમાં દુ:ખની લાગણી ફેલાઇ ગઇ હતી.
 

(5:16 pm IST)