Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

શિક્ષકો સચિવાલયના દ્વારે : ૧ હજારથી વધુની અટકાયત

ફિકસ પગારના શિક્ષકની નોકરી સળંગ ગણવી... પગાર, નવી ભરતી સહિતના પ્રશ્નોને ઘેરાવ કરવા : સતત ત્રણ કલાક પોલીસ અને શિક્ષકો વચ્‍ચે તનાવ : ઉગ્ર સૂત્રોચ્‍ચારઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રભરના હજારો શિક્ષકો ગાંધીનગર ભણી ગ્‍યા

ગાંધીનગર, તા.૨૨ : સરકાર સામે રાજયના વિવિધ કર્મચારીઓ તેની પડતર માંગણીને લઈને આંદોલન કરી રહ્યા છે ત્‍યારે એસટી કર્મચારીઓ બાદ આજે પ્રાથમિક શિક્ષકોએ પણ વિધાનસભાને ઘેરાવ કરવાનો કાર્યક્રમ આપ્‍યો છે. સવારથી હજારો પ્રાથમિક શિક્ષકો વિધાનસભા તરફ જઈ રહ્યા છે. પોલીસે ચાપતો બંદોબસ્‍ત ગોઠવ્‍યો છે. શિક્ષક નેતાઓની ધરપકડ કરવામાં આવી રહી છે.

ગઈકાલ મોડી રાતથી જ ગાંધીનગર તરફ સૌરાષ્‍ટ્ર - ઉત્તર ગુજરાત - દક્ષિણ ગુજરાત વિસ્‍તારના પ્રાથમિક શિક્ષકો તેમના સંઘના સ્‍થાનિક આગેવાનોના નેતૃત્‍વમાં ગાંધીનગર સચિવાલય ખાતે ઘેરાવ કરવા દોડી ગયા હતા. પોલીસનો જડબેસલાક બંદોબસ્‍ત હોવાથી ૧ હજારથી વધુ શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી.

શિક્ષકો તેમની લાગણીને વાચા આપવા અને અન્‍યાય સામે અવાજ ઉઠાવવા મક્કમ રહ્યા હતા. કડક સુરક્ષા કવચને ભેદી પ્રાથમિક શિક્ષકો સૂત્રોચ્‍ચાર કરતાં સચિવાલયના દ્વારે પહોંચી ગયા હતા.

સરકારે કર્મચારીઓના પ્રશ્ને વાટાઘાટો કરવા માટે ત્રણ મંત્રીઓની કમીટી બનાવી હતી. જેને આંદોલનકારીઓએ લોલીપોપ ગણાવી. મુખ્‍યમંત્રી રૂપાણી હોંશ મેં આઓ, નાયબ મુખ્‍યમંત્રી અને રાજય સરકાર અને ભાજપ સરકાર વિરૂદ્ધ ઉગ્ર સૂત્રોચ્‍ચાર કર્યા હતા. આંદોલનકારીઓની વહારે વિપક્ષી નેતા પરેશ ધાનાણી, ધારાસભ્‍ય લલીત કગથરા સહિતના દોડી ગયા હતા.

૨૦૧૯ની ચૂંટણી આવતા પહેલા તો સરકાર પાસે કર્મચારીઓ પોતાની માંગણી સંતોષાઇ જાય તેવું આંદોલન ચલાવી રહ્યા છે. એસટીનાં કર્મચારીઓએ સાતમા પગાર પંચની માંગ સાથે હડતાળ પર છે ત્‍યારે આજે સરકારી પ્રાથમિક શિક્ષકો માસ સીએલ પર ઉતરીને વિધાનસભાને ઘેરવા તૈનાત થયા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નો મુદ્દે રાજયના સવા બે લાખ શિક્ષકો આજથી હડતાળ પર ઉતરશે તેમજ શિક્ષકો આજે એક દિવસની રજા રાખી છે.

જયારે સૌરાષ્‍ટ્રના ૧૦ હજારથી વધુ શિક્ષકો જોડાયા છે. રાજકોટમાં ૧ હજારથી વધુ શિક્ષકો પ્રમુખ રતુભાઈ ચાવડાના નેતૃત્‍વમાં ગાંધીનગર ઘેરાવના કાર્યક્રમમાં ગયા હોવાનું જાણવા મળે છે.

હડતાળમાં અમદાવાદ જિલ્લાના ૭ હજાર શિક્ષકો જોડાયા. પડતર માગણીઓને લઈને આજે રાજયભરના શિક્ષકો વિધાનસભાનો ઘેરાવો કરેલ. શિક્ષકોની માગ છે કે, ૧૯૯૭થી ફિક્‍સ પગારના શિક્ષકોની નોકરીને સળંગ ગણવામાં આવે, અલગ ગ્રેડ પે, નવી ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્‍શન યોજનાનો લાભ મળે, સાતમા પગાર પંચની ભલામણોનો અમલ વગેરે માંગો મૂકવામાં આવી છે.

ઉપરાંત પ્રાથમિક શિક્ષકોની માંગ છે કે ૧૯૯૭થી અત્‍યાર સુધી ભરતી થયેલ તમામ શિક્ષકોને સીનિયોરિટી, બઢતી અને ઉચ્‍ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવે. પ્રાથમિક શિક્ષકોને ટ્રીપલ સી પરીક્ષામાંથી મુક્‍તિ આપવામા આવે. પ્રાથમિક શિક્ષકોની ફરિયાદ છે કે વિદ્યાસહાયકો શરૂઆતનાં પાંચ વર્ષ ઓછા પગારમાં કામ કરે છે. પાંચ વર્ષની નોકરીને સીનિયોરિટી, બઢતી કે ઉચ્‍ચતર પગાર ધોરણમાં ગણવામા આવેલ નથી.

તમામ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્‍તકની સરકારી પ્રાથમિક સ્‍કૂલોના અંદાજે ૨ લાખથી વધુ પ્રાથમિક શિક્ષકો માસ સીએલ પર જશે. જયારે ૧૦ હજારથી વધુ શિક્ષકો ગાંધીનગરમાં ચાણક્‍યભવનથી વિધાનસભા સુધી રેલી યોજી વિધાનસભામાં સરકારનો ઘેરાવો કરવા ઉમટી પડયા છે. પ્રાથમિક શિક્ષક સંઘની માંગ છે કે સરકાર વિદ્યાર્થીઓને ભણાવવા સિવાયની અન્‍ય તમામ કામગીરીમાંથી મુક્‍તિ આપે,પ્રાથમિક શિક્ષકો પાસે ચૂંટણીથી માંડી સરકારની તમામ યોજનાઓ, સરકારી કાર્યક્રમોમાં ફરજીયાત કામ કરાવવામા આવે છે.

શિક્ષકો દ્વારા વિધાનસભા ઘેરાવની ચીમકીનો મામલે પોલીસ સતર્ક થઈ છે અને શિક્ષકોને રોકવા પોલીસનો એક્‍શન પ્‍લાન ઘડી કાઢ્‍યો છે. વૈષ્‍ણોદેવી સર્કલથી વિધાનસભા સુધી ગોઠવાયો ચૂસ્‍ત બંદોબસ્‍ત ગોઠવી દેવાયેલ. સવારથી જ પોલીસ કાફલો ખડકી દેવાયો છે. કોઈપણ શિક્ષકને વિધાનસભા સુધી નહિ પહોચવા દેવા આદેશ કરવામાં આવ્‍યો છે.

જોકે મોડી રાત્રે રાજય સરકારના ઈશારે પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ  સહિતના અન્‍ય હોદ્દેદારોની અટકાયત કરવામા આવી છે. રાજય સરકારના ઈશારે પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્‍વિજયસિંહ જાડેજા સહિતના અન્‍ય હોદ્દેદારોની અટકાયત કરીને આંદોલનને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો.

(3:55 pm IST)