Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

પદમલા નેશનલ હાઇવે નજીક અચાનક કારનું ટાયર ફાટતા ચારના મોત: ચાર ઈજાગ્રસ્ત

પદમલા:નેશનલ નંબર આઠ ઉપર આવેલા પદમલા ગામ પાસે આજે સાંજના સુમારે પુરપાટ ઝડપે વિદ્યાનગરથી વડોદરા જઈ રહેલી ઈકો કારનું ટાયર ફાટતાં કાર આરસીસી બેરીકેટ સાથે ભટકાઈ હતી જેમાં ચારના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે ચારને ગંભીર ઈજાઓ થતાં તેઓને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

 


ગોઝારા અકસ્માતની મળતી વિગતો અનુસાર વડોદરાનું પરિવાર આજે સાંજના સાતેક વાગ્યાના સુમારે વિદ્યાગરથી દીકરાની વહુને તેડીને ઈકો મારૂતિ કાર નંબર જીજે-૨૭, એએ-૭૩૮૧માં પરત વડોદરા જઈ રહ્યા હતા ત્યારે સાંજના સાતેક વાગ્યાના સુમારે પદમલા પાસે કારનું પાછળનું ટાયર ફાટતાં ડ્રાયવરે કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો અને કાર આરસીસી બેરીકેટ સાથે અથડાઈ હતી જેમાં હર્ષિતાબેન વિજયભાઈ વસાવા (ઉ. વ. ૭, જશોદાનગર, મક્કરપુરા, વડોદરા), કૈલાશબેન વિજયભાઈ વસાવા (ઉ. વ. ૩૭,રે. જશોદાનગર, મક્કરપુરા), અલકાબેન મહેન્દ્રભાઈ વસાવા (ઉ. વ. ૩૮, રે. બારેજાગામ, દસકોઈ, અમદાવાદ)તથા કાવ્યાબેન મહેન્દ્રભાઈ વસાવા (ઉ. વ. ૪, રે. બારેજાગામ, દસકોઈ, અમદાવાદ)ને માથામાં તથા શરીરના અન્ય ભાગોએ ઈજાઓ થતાં ઘટનાસ્થળે મોત થયા હતા.

જ્યારે વંશિકાબેન મહેન્દ્રભાઈ વસાવા (ઉ. વ. ૧૧, જશોદાનગર), સુનીલભાઈ શનાભાઈ વસાવા (ઉ.વ. ૨૫, જશોદાનગર), હિનાબેન સુનીલભાઈ વસાવા (ઉ. વ. ૨૪, જશોદાનગર)તથા ડ્રાયવર મહેન્દ્રભાઈ જયંતિભાઈ વસાવા (રે. જશોદાનગર)ને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં મોકલી આપ્યા હતા. બનાવ અંગે છાણી પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(5:35 pm IST)