Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

અમદાવાદમાં એક વર્ષમાં ૬૦ હજારથી વધુ લોકો રઝળતા શ્વાનના ત્રાસનો ભોગ બન્યાઃ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી

અમદાવાદ : અમદાવાદ શહેર સહીત રાજ્યભરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. અમદાવાદ શહેરની જ વાત કરવામાં આવે તો એક વર્ષમાં 60 હજારથી વધુ લોકો રખડતા શ્વાનના ત્રાસનો ભોગ બન્યા છે. આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની  અરજી કરવામાં આવી છે. કોર્ટમાં રજૂઆત કરાઈ છે કે કુલ 10 લોકોને કૂતરાંના ટોળાએ ફાડી ખાધા છે. હાઈકોર્ટે આ મામલાને ગંભીરતાથી લેતા અમદાવાદ પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને ગૃહ વિભાગને નોટિસ જારી કરી છે તેમજ 5 ફેબ્રુઆરી સુધી આ મામલે ખુલાસો કરવા નિર્દેશ આપ્યા છે.

અમદાવાદમાં એક સર્વે મુજબ રખડતા કૂતરાઓ સંખ્યા 1.80 લાખ હોવાનો અંદાજ છે. શહેરના લગભગ તમામ રસ્તાઓ પર કૂતરાઓ રખડી રહ્યા છે. જેમાં કેટલાક હડકાયા પણ બની ચૂક્યા છે. જે વારંવાર રાહદારીઓ પર ત્રાટકીને તેઓને કરડી રહ્યા છે. શહેરની મ્યુનિ.હોસ્પિટલોમાં કૂતરા કરડયા હોય તેવા કેસમાં મુકવાની થતી રસીની તંગી ઘણા લાંબા સમયથી પ્રવર્તી રહી છે.

વર્ષ 2019માં એલ.જી.હોસ્પિટલમાં સૌથી વધુ 12,219 લોકોને રસી મૂકવાની ફરજ પડી હતી. વી.એસ.હોસ્પિટલમાં 10,532 અને શારદાબહેન હોસ્પિટલમાં 9,153 કેસ આખા વર્ષમાં નોંધાયા છે. શહેરીજનોના જણાવ્યા મુજબ શહેરમાં રખડતા કૂતરાઓ પર અંકુશ મુકવામાં મ્યુનિ.તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. દર મહિને હજારોની સંખ્યામાં લોકોને કૂતરા કરડવાના બનાવો બની રહ્યા છે. તેમ છતાંય સમગ્ર મામલે મ્યુનિ.તંત્ર ગંભીરતા દાખવતું નથી.

(4:39 pm IST)