Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

આણંદ નજીક કરમસદમાં તસ્કરોએ બે મકાનને નિશાન બનાવી 2.25 લાખની મતાની ઉઠાંતરી કરી

આણંદ: નજીક આવેલા કરમસદ ગામે ગઈકાલે રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવીને એકમાંથી ૨.૨૫ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં પોલીસે ગુનો દાખલ કરીને ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર મેડીકલ સ્ટોર ધરાવતા ફરિયાદી પરેશભાઈ નટવરલાલ પંચાલ કરમસદના સાંઈ મંદિર રોડ ઉપર આવેલી ભાઈલાલ રેસીડન્સીમાં રહે છે. ગઈકાલે રાત્રીના સુમારે તેઓ પત્ની અને બાળકો સાથે મકાનના ઉપલા માળે સુઈ ગયા હતા. દરમ્યાન રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ તાળુ તોડીને અંદરપ્રવેશ કરી તિજોરીમાંથી રોકડા ૨૦ હજાર તથા સોના-ચાંદીના દાગીના મળીને કુલ ૨.૨૫ લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરીને લીઘી હતી. તસ્કરોએ બાજુમાં આવેલા વિશાલભાઈના મકાનના તાળા તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રહીશો જાગી જતાં તસ્કરો અંધારામાં ફરાર થઈ ગયા હતા.

(5:47 pm IST)