Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

અમદાવાદમાં જુદા-જુદા અપમૃત્યુના ત્રણ બનાવમાં બે યુવક સહીત યુવતીનું મોત

અમદાવાદ: શહેરના જુદા-જુદા વિસ્તારબાપુનગર, નારોલ અને શાહપુરમાં આપઘાતના ત્રણ બનાવ બનતા પોલીસે આ અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, બાપુનગર વિસ્તારમાં મેજિસ્ટ્રેટની ચાલી નજીક આવેલી ચંદુલાલની ચાલીના છાપરાં ખાતે રહેતા રાહુલ પોપટભાઇ પટણી નામના ર૧ વર્ષીય યુવાને મોડીરાત્રે પોતાના ઘરમાં જ લાકડાની વળી સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. બનાવની જાણ થતા જ પોલીસે તાત્કાલીક પહોંચી જઇ લાશને પીએમ માટે મોકલી આપી હતી. આ યુવાનનાં આપઘાત કરવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.

જ્યારે નારોલ વિસ્તારમાં શાહવાડી નજીક શ્યામવિલા ફલેટ પાસે આવેલી ગગનવિહાર સોસાયટીમાં રહેતી જયશ્રીબહેન જયેશભાઇ પરમાર નામની ર૮ વર્ષની યુવતીએ પણ બપોરના સુમારે પોતાના ઘરમાં પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી નાખ્યું હતું.

આ ઉપરાંત શાહપુર વિસ્તારમાં દિલ્હી ચકલા નજીક દેના બેન્કની પાછળના ભાગે આવેલા ભોંયવાડા ખાતે રહેતા રાકેશ રવિશંકર શ્રીમાળી નામના ૩પ વર્ષના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં વી.એસ. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા જ્યાં મોડી રાત્રે તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. શાહપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી મરનારના સગા-વહાલાઓની પૂછપરછ કરી નિવેદનો લીધા હતા. પરંતુ કારણ જાણવા મળ્યું નથી. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(5:51 pm IST)