Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યાને લઇને રાજ્ય સરકારનો મોટો નિર્ણય

ધોરણ-9થી 12ની ગ્રાન્ટેડ સ્કૂલોમાં શહેરી વિસ્તારમાં 36ના બદલે 25 અને ગ્રામ્ય વિસ્તારમાં 24ના બદલે 18 વિદ્યાર્થીઓ હોય તો વર્ગ ઘટાડો નહીં કરાઈ : શાળા સંચાલકોની રજુઆત બાદ નિર્ણય : એક વર્ષ સુધી રહેશે અમલી

અમદાવાદ : રાજ્યની ધોરણ-9થી 12ની ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ગ ઘટાડાને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. શહેરી વિસ્તારમાં 36ના બદલે 25 અને ગ્રામ્ય વિસ્તારમાં 24ના બદલે 18 વિદ્યાર્થીઓ હોય તો વર્ગ ઘટાડો કરવામાં નહીં આવે તેવો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. આ નિર્ણયનો અમલ એક વર્ષ પુરતો જ રહેશે. ત્યારબાદ અગાઉની જોગવાઈનો અમલ રહેશે

રાજ્યની દરેક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગદીઠ વિદ્યાર્થી સંખ્યા કેટલી હોવી જોઈએ તથા વર્ગ વધારા-ઘટાડા, ગ્રાન્ટ કાપ અને સરાસરી હાજરી અંગેની નિતી નક્કી કરેલી છે. Gujarat

ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ-10નું પરિણામ ઓછું આવેલું હોવાથી તથા કોવિડ-19ની મહામારીથી સર્જાયેલી પરિસ્થિતીને કારણે વિદ્યાર્થીઓના પ્રવેશ પર અસર પડી છે. જેના કારણે શાળાઓમાં મોટા પ્રમાણમાં વર્ગો બંધ થાય તેમ હોવાથી અને તે કારણે મોટા પ્રમાણમાં વર્ગ ઘટાડા કરવા પડે તેમ હોઈ અનેક શિક્ષકો ફાજલ થવાની સંભાવના છે. જેથી હાલની વર્તમાન અસામાન્ય પરિસ્થિતીને ધ્યાને લઈ છુટછાટ આપવા અંગે કમિશનર ઓફ સ્કૂલ દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી

 

દરખાસ્તના પગલે સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21ના સમયગાળા માટે શરતોને આધીન છુટછાટ આપવાનો નિર્ણય લીધો છે. જેમાં ઠરાવમાં કરવામાં આવેલી જોગવાઈનો માત્ર વર્ગ ઘટાડા માટે ધ્યાને લેવાની રહેશે તેવું સ્પષ્ટ જણાવાયું છે. રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9થી 12ના વર્ગ વધારા માટે શિક્ષણ વિભાગના 2011ના ઠરાવથી નિયત થયેલી વિદ્યાર્થી સંખ્યાની જોગવાઈઓ મુજબ જ કાર્યવાહી કરવાની રહેશે. એટલે કે, વર્ગ વધારા માટે શહેરી વિસ્તારમાં પ્રથમ વર્ગ માટે 60 અને ત્યાર પછીના વર્ગ માટે 36 જ્યારે ગ્રામ્યમાં પ્રથમ વર્ગ માટે 60 અને બીજા વર્ગ માટે 24ની સંખ્યા જ ધ્યાને લેવાની રહેશે.

રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9થી 12ના વર્ગ માટે શહેરી વિસ્તારમાં 36 વિદ્યાર્થી સંખ્યા નિયત થયેલી છે. તેના બદલે સુધારેલી વિદ્યાર્થી સંખ્યા 25 જાળવવાની રહેશે અને ગ્રામ્ય વિસ્તાર માટે 24 વિદ્યાર્થી સંખ્યા નિયત થયેલી છે તેના બદલે સુધારેલી વિદ્યાર્થી સંખ્યા 18 જાળવવાની રહેશે. એક કરતા વધુ વર્ગો માટે શહેરી વિસ્તારમાં પ્રથમ વર્ગ 60 અને બીજો વર્ગ 36ના બદલે પ્રથમ વર્ગ 42 અને બીજો વર્ગ 25નો રહેશે. જ્યારે ગ્રામ્ય વિસ્તાર માટે પ્રથમ વર્ગ 60 અને બીજો વર્ગ 24ના બદલે પ્રથમ વર્ગ 42 અને બીજો વર્ગ 18નો જાળવવાનો રહેશે

શહેરી વિસ્તારમાં 25 અને ગ્રામ્ય વિસ્તારમાં 18ની વિદ્યાર્થી સંખ્યા જળવાતી ન હોય તેવી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગ ઘટાડા કરવાની કાર્યવાહી કરાશે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આ ઠરાવની છુટછાટ શૈક્ષણિક વર્ષ 2020-21ના સમયગાળા માટે આપવામાં આવી છે. આ મુદ્દત પૂરી થયા બાદ આ ઠરાવ આપોઆપ રદબાતલ ગણાશે.

(8:21 pm IST)