Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

લવ જેહાદનો કાયદો બનાવવાની માંગણી વચ્‍ચે વડોદરામાં લવ જેહાદનો બીજો કિસ્‍સોઃ આણંદમાં અભ્‍યાસ કરવા ગયેલ યુવતિને વિધર્મી યુવકે ફસાવીને લગ્ન કર્યા

વડોદરા: ગુજરાતમાં લવ જેહાદના સતત વધી રહેલા કિસ્સા સામે તેનો કાયદો બનાવવાની માંગ ઉઠી છે. વડોદરામાં લવ જેહાદનો બીજો કિસ્સો સામે આવ્યો છે. વાઘોડિયા રોડની હિન્દુ યુવતી સાથે વિધર્મી યુવાને લગ્ન કર્યા હોવાનો ખુલાસો થયો છે. આણંદમાં અભ્યાસ કરવા ગયેલી યુવતીને વિધર્મી યુવકે ફસાવીને તેની સાથે લગ્ન કર્યાં છે. ત્યારે વડોદરામાં બીજો કિસ્સો આવતા હિન્દુ સમાજના નેતાઓએ ગુજરાતમાં લવ જેહાદનો કાયદો બનાવવા માંગ કરી છે.

યુવતીના માતાપિતાએ રજૂઆત કરી

વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતી આણંદ ખાતે અભ્યાસ કરતી હતી. આ દરમિયાન તે વિધર્મી યુવકને મળી હતી. ત્યારે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. 10 વર્ષના પ્રેમ સંબંધ બાદ પાંચ મહિના પહેલા બંનેએ લગ્ન માટે  નોંધણી કરાવી હતી. હાલ યુવતી લગ્ન બાદ યુવકના ઘરે જ રહે છે. ત્યારે તેના પરિવાર દ્વારા તેમના લગ્ન સામે ફરિયાદ નોંધાવી છે. સાથે જ પોતાની દીકરીને પાછી લાવવા અરજી કરી છે. તો બીજી તરફ, યુવતીએ પોતાનું લગ્નજીવન સુખી હોવાનું બતાવી પોલીસના એક ઉચ્ચ અધિકારીને અરજી કરી છે. તેણે અરજીમાં કહ્યું કે, તેના લગ્ન જીવનમાં કોઈ બાધા ન થાય તે માટે મેં આ અરજી કરી છે

ત્યારે વડોદરામાં લવ જેહાદના કિસ્સા બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યાં છે. પહેલા કારેલીબાગ અને હવે વાઘોડિયા રોડ વિસ્તારનો કિસ્સો સામે આવ્યો છે. સતત વધી રહેલા કિસ્સાથી વડોદરાના અનેક નેતાઓએ લવજેહાદનો કાયદો બનાવવાની માંગ કરી છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, સાંસદ રંજન ભટ્ટ આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી ચૂક્યા છે. તો અનેક હિન્દુ સમાજના નેતાઓ પણ કાયદાની માંગ સાથે મેદાને આવ્યા છે.  

રાજ્યમાં લવ જેહાદના વધી રહેલા કિસ્સાને પગલે લવ જેહાદ અંગેનો કડક કાયદો બને તેવી લોકોની અને વિવિધ ધારાસભ્યોની માંગણી છે. આ અંગે ભાજપનાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ કહ્યું કે, કોઇ પણ દીકરીને ભોળવવાનો પ્રયાસ થાય તો કાયદાકીય પગલા લેવાવા જરૂરી છે. આ અગાઉ ભાજપનાં ધારાસભ્યો અને સાંસદો પણ આ કાયદો આવે તેવી માંગણી કરી ચૂક્યા છે. હું આ કાયદો આવે તે અંગે સંમત છું. હાલમાં જ વડોદરામાં હિન્દુ યુવતીનું ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ યુવાને નિકાહ કરતા વિવાદ પેદા થયો છે. જો કે સી.આર પાટીલે આડકતરો ઇશારો કરતા હોય તે પ્રકારે જણાવ્યું કે, એકાદ ધારાસભ્યનાં પત્રથી કોઇ ફરક પડે નહી. તમામની સંમતી પણ જરૂરી છે. છતા લવ જેહાદના બનાવો પર અંકુશ લાવવા માટે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ.

(5:10 pm IST)