Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

નવા કૃષિ કાયદામાં કંપની અને વેપારીઓને સંગ્રહખોરીની છુટ : મોંઘવારી માઝા મૂકશે

ગુજરાત ખેડૂત સમાજના આગેવાનોએ દહેશત વ્યકત કરીઃ હવે અનાજ, કઠોળ, બટાટા, ડુંગળીનો ગમે તેટલો સંગ્રહ કરી શકાશે

અમદાવાદ,તા. ૨૧: નવા ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂત સંગઠનો દિલ્હીમાં ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે, ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો કહે છે કે, નવા કાયદામાં સંગ્રહખોરીની છૂટ આપવામાં આવી છે. કાયદામાં સુધારો કરાતાં હવે સંગ્રહની મર્યાદા લાદવી કે નહિ તે કેન્દ્ર સરકાર નક્કી કરશે.

જૂના કાયદામાં વેપારીઓ કે કંપનીઓ કઈ ચીજનો કેટલો સંગ્રહ કરી શકે તેની મર્યાદા રાજય સરકારો વખતોવખત નક્કી કરતી હતી, નવા કાયદામાં સંગ્રહખોરીની છૂટ અપાતા અનાજ, કઠોળ, બટાટા, ડુંગળી, તેલીબિંયા અને તેલનો સંગ્રહ કોઈ પણ વેપારી કે કંપની ગમે તેટલો કરી શકશે. બહુ ભાવ વધારો થાય તો જ કેન્દ્ર સરકાર સંગ્રહખોરી ડામશે, એકંદરે સંગ્રહખોરીની છૂટના કારણે ગ્રાહકોને સહન કરવાનો વારો આવશે, ગરીબ-મધ્યમ વર્ગના લોકોના ખિસ્સાં ખંખેરાશે.

ગુજરાત ખેડૂત સમાજનું કહેવું છે કે, ખેડૂતો પોતાના ઉત્પાદનનો સંગ્રહ કરી શકતા નથી એટલે તેમને પૂરતા ભાવો મળી શકતાં નથી, અલબત્ત્।, વેપારી કે કંપની સંગ્રહખોરી કરીને વધુ નફો કમાવવાનો પોતાનો બદઈરાદો પાર પાડશે. વેપારીઓને સંગ્રહખોરીની છૂટ આપીને હકીકતમાં સરકારે ખેડૂતોને ઓછા ભાવો મળે તે પ્રકારની સવલત કરી આપી છે. ગ્રાહકો અને ખેડૂતો બંનેને પીસાવાનો વારો આવશે,

હમણાં જ તેલના ભાવો આસમાને પહોંચી ગયા છે, જેના કારણે ગરીબ-મધ્યમવર્ગના લોકોને વધુ પીસાવું પડી રહ્યું છે. અગાઉ આવશ્યક ચીજવસ્તુ ધારો નામનો કાયદો ૧૯૫૫માં અમલી બનાવાયો હતો, એ કાયદા અંતર્ગત વેપારીઓ કે કંપનીઓ કઈ ચીજનો કેટલો જથ્થો સંગ્રહ કરી શકે તેની મર્યાદા રાજય સરકાર નક્કી કરતી હતી.

ખેડૂત આગેવાનો કહે છે કે, કૃષિ કાયદાથી ખેડૂતોની આવકમાં વધારો નહિ થાય, ઉલટાનું ખેડૂતો ગુલામ બનશે, જો સરકાર કહેતી હોય કે કૃષિ કાયદાથી ખેડૂતોને ફાયદો થશે તો પછી શું કામ કાયદો લાવતા પહેલાં ખેડૂતો સાથે કોઈ પણ જાતની ચર્ચા વિચારણા ના કરી?

હકીકતમાં તો ત્રણ કૃષિ કાયદા એવી સાબિતી આપે છે કે, કેન્દ્ર સરકાર દેશી-વિદેશી મહાકાય કંપનીઓનો સાથ લઈને તેમનો જ વિકાસ કરવા માગે છે. સંગ્રહખોરીની છૂટના કારણે અનાજ કરિયાણું અને શાકભાજીના ભાવમાં વધારો થશે. તેમજ મોંઘવારી પણ વધશે.

(10:03 am IST)