Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

પીરાણા દુર્ઘટનામાં મૃતકના અનાથ બનેલા બાળકોની વ્હારે આવ્યું તંત્ર : સગીર વારસદારોને 4-4- લાખના ચેક જિલ્લા કલેકટરે એનાયત કર્યા

બંન્ને બાળકોને પાલક માતા-પિતા યોજના અન્વયે માસિક રૂ. 3 હજારની સહાય મંજુરીના હુકમ પણ એનાયત કરાયા

અમદાવાદ : અમદાવાદના પીરાણા ખાતે આગ દુર્ઘટનામાં મથુરભાઇ ચાવડા અને તેમના પત્ની અંજલિનાબેન ચાવડા મૃત્યુ પામ્યા હતા. આથી ચાવડા પરિવારનો 8 વર્ષનો દીકરો એલેક્સ અને 13 વર્ષની દીકરી પ્રેઝી અનાથ બન્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હતભાગી નાગરિકોના વારસદારોને આર્થિક સહાયની જાહેરાત કરી હતી. જે અન્વયે મૃતક દીઠ રૂપિયા 4 લાખ એમ કુલ 8 લાખની રકમ જિલ્લા કલેકટર દ્વારા સગીર વારસદારોને રૂબરૂ મળી રકમનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો

આ ઉપરાંત કલેકટર દ્વારા મણીનગર મામલતદારને ઉક્ત બંન્ને વારસદારો સગીર હોવાથી સહાયની રકમ ફિક્સ ડિપોઝિટ કરવા તથા બાળકો પુખ્ત વયના થાય ત્યારે તેઓ આ રકમ મેળવી શકે તે મુજબની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી હતી. આ સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બંન્ને બાળકોને પાલક માતા-પિતા યોજના અન્વયે માસિક રૂ. 3 હજારની સહાય મંજુરીના હુકમ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે જણાવ્યું કે, પાલક માતા-પિતા યોજના થકી મળતી આર્થિક સહાય બંન્ને બાળકોના શિક્ષણ ખર્ચમાં મદદરૂપ થશે. હું બન્ને બાળકોની ઉજ્જવળ કારકિર્દી અને ભવિષ્યની કામના કરું છું.

(8:12 pm IST)