Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ભારતમાં એનર્જી ક્ષેત્રમાં ગ્રોથની અને આંતરપ્રિન્યોર્શિપની અનેક સંભાવના

પેટ્રોલિયમ યૂનિવર્સિટીના આઠમા દીક્ષાંત સમારોહમાં પીએમ મોદીનું સંબોધન : રિલાયન્સના ચેરમેન અને પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યૂનિવર્સિટીના પ્રમુખ મુકેશ અંબાણીએ પણ વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ : મુખ્યમંત્રી રૂપાણી પણ વીડિયો કોન્ફરન્સથી ઉપસ્થિત રહ્યા

અમદાવાદ : પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યૂનિવર્સિટી (PDPU)નો આઠમો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી અને રિલાયન્સના ચેરમેન અને પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યૂનિવર્સિટીના પ્રમુખ મુકેશ અંબાણીએ વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ હતું. મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી પણ વીડિયો કોન્ફરન્સથી ઉપસ્થિત રહ્યા હતા

   વડાપ્રધાન મોદીએ ગાંધીનગર સ્થિત પંડિત દીન દયાળ પેટ્રોલિયમ યૂનિવર્સિટીના આઠમા દીક્ષાંત સમારંભને સંબોધિત કર્યુ હતું. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે સંસ્થામાંથી પાસ થનારા વિદ્યાર્થી દેશની નવી તાકાત બનશે. પીએમ મોદીએ કહ્યુ કે પંડિત દીન દયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યૂનિવર્સિટીના 8માં કોન્વોકેશનના પ્રસંગે તમને બધાને ઘણી શુભેચ્છા. આજે જે સાથી ગ્રેજ્યુએટ થઇ રહ્યા છે, તેમના અને તેમના માતા-પિતાને પણ ઘણી શુભકામનાઓ

   વડાપ્રધાન મોદીએ કહ્યુ કે એક સમય હતો જ્યારે લોકો સવાલ ઉઠાવતા હતા કે આ રીતની યૂનિવર્સિટી કેટલી આગળ વધી શકશે પરંતુ અહીના વિદ્યાર્થીઓએ, પ્રોફેસર્સે અને અહીથી નીકળનારા પ્રોફેશનલ્સે આ તમામ સવાલોનો જવાબ આપી દીધો છે. તમે એવા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પગ મુકી રહ્યા છો જ્યારે મહામારીને કારણે આખી દુનિયાના ઉર્જા ક્ષેત્રમાં પણ મોટા બદલાવ થઇ રહ્યા છે. એવામાં આજે ભારતમાં એનર્જી ક્ષેત્રમાં ગ્રોથની, આંતરપ્રિન્યોર્શિપની અનેક સંભાવનાઓ છે

  પીએમ મોદીએ કહ્યુ કે પીડીપીયૂએ ઉદ્યોગ સહિત કેટલાક વિસ્તારમાં પોતાનો વિસ્તાર કર્યો છે ,આ રીતે તેને એનર્જી યૂનિવર્સિટીના રૂપમાં બદલો. ગુજરાત સરકારને હું તેની માટે અનુરોધ કરૂ છું, તેની કલ્પના મે કરી હતી. જો વિચાર બરાબર લાગ્યા તો તેની પર આગળ વધો.  

 પીએમ મોદીએ આગળ કહ્યુ કે, આજે દેશ પોતાના કાર્બન ફૂટપ્રિન્ટને 30-35% સુધી કામ કરવાના પડકારને લઇને આગળ વધી રહ્યા છે. પ્રયાસ છે કે આ દાયકામાં પોતાની ઉર્જા જરૂરતોમાં નેચરલ ગેસની ભાગીદારીને અમે 4 ઘણી વધારી છે.

   મુકેશ અંબાણીએ કહ્યુ કે, “PDPU નરેન્દ્રભાઇના આત્મનિર્ભર ભારતના સ્વપ્નની ફળશ્રૃતિ છે. ભારતને ઉર્જા શિક્ષણમાં આત્મનિર્ભર બનાવવા માટેનો આ પ્રયાસ છે. આપણે ફક્ત 14 વર્ષ જૂના જ છીએ છતાં રાષ્ટ્રીય સ્તરથી લઇને વૈશ્વિક ફલકે આપણે પ્રગતિ કરીશું.” મુકેશ અંબાણીએ વધુમાં કહ્યુ કે, આગામી સમય ભારતનો છે, Covid19 પછીના દાયકામાં ભારત વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રમાંથી એક હશે

  મુકેશ અંબાણીએ કહ્યુ કે, “શું આપણે પર્યાવરણને નુકસાન પહોચાડ્યા વગર ઉર્જાનું ઉત્પાદન કરી શકીએ. આગામી સમયમાં ભારતની ઉર્જાની માંગ પુરી કરવા માટે અને પર્યાવરણની જાળવણી કરવા માટે આપણે ઉર્જા ક્ષેત્રની અંદર અનેક નવા સંશોધન કરવા પડશે. હું વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવુ છું કે તમે સાચા ક્ષેત્રમાં કરિયરનો માર્ગ પસંદ કર્યો છે

  મુકેશ અંબાણીએ કહ્યુ કે, “હું વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે તમે જ્યારે આ કેમ્પસમાંથી બહાર નીકળો ત્યારે ભવિષ્યની ચિંતાઓ સાથે બહાર નીકળશો. ભારત અને તમારા માટે ભવિષ્ય ઉજ્જવળ છે. આપણે અનેક મુસીબતોમાંથી બહાર નીકળ્યા છીએ

(12:49 pm IST)