Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

BRTS આવ્યા બાદ માર્ગ દુર્ઘટનામાં નોંધપાત્ર વધારો

બે વર્ષમાં ૨૧નો ભોગ લેવાઇ ચુક્યો છે : રિપોર્ટ : માર્ગ અકસ્માતોમાં ૭૫ ટકા સુધી વધારો : બેફામ ચાલતી બીઆરટીએસ બસથી અકસ્માતના પ્રમાણમાં વધારો થયો

અમદાવાદ, તા.૨૧ : બીઆરટીએસ રુટ પર થઇ રહેલા અકસ્માતોના લીધે સામાન્ય લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. બીજી બાજુ બુદ્ધિજીવી લોકો એમ પણ માની રહ્યા છે કે, બીઆરટીએસ રુટ અલગ બનાવવામાં આવ્યો હોવા છતાં તેમાં બેદરકારીપૂર્વક સામાન્ય વાહન ચાલકો ઘુસી જાય છે જેથી અકસ્માતોનો ખતરો વધી જાય છે. બીજી બાજુ વિરોધ કરનાર લોકોનું કહેવું છે કે, બીઆરટીએસ આવ્યા બાદથી જ અકસ્માતોનો સિલસિલો વધ્યો છે. અમદાવાદ શહેરના પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસ બસની અડફેટે બે સગાભાઈના મોત નીપજ્વાની ઘટના બાદ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત સામે આવી રહ્યા છે. માત્ર અમદાવાદ અને સુરતમાં જ છેલ્લા બે દિવસમાં બીઆરટીએસ બસની ટક્કરથી છ નિર્દોષ વ્યકિતનો ભોગ લેવાઇ ગયો છે, જેને લઇ લોકોમાં જોરદાર આક્રોશ ભૂકી ઉઠયો છે. વાસ્તવમાં, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોની સુવિધા માટે બીઆરટીએસ બસની સુવિધા શરૂ કરાઇ છે પણ છેલ્લા કેટલાક સમયથી બેફામ ચાલતી બીઆરટીએસ બસથી અકસ્માતના પ્રમાણમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે.

                 બીઆરટીએસ કોરિડોર આવ્યા બાદ અકસ્માતમાં ૭૫ ટકાનો વધારો થયો છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં બીઆરટીએસની અડફેટે કુલ ૨૧ના મોત થયા છે. આ અકસ્માત પાછળના મુખ્ય કારણોમાં ટ્રાફિક સાઇન પૂરતા પ્રમાણમાં નથી, પ્રતિબંધ હોવા છતાય લોકો બીઆરટીએસ કોરિડોરમાં પોતાના વાહનો પુરપાટ ઝડપે ચલાવતા હોય છે. બીઆરટીએસના પ્લાનીંગ મુજબ ઘણી જગ્યાએ ટ્રાફિક સાઇન,રેલિંગ અને તેની નીચે મૂકેલા બેરિકેડ્સ રોડ સાઇડ વધારે બહાર નીકળે છે, સાથે લોકો રોડ ક્રોસ કરવા માટે સીધા જ બીઆરટીએસના રૂટમાં જતા રહે છે. આ બધાં કારણોથી અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. સૌથી નોંધનીય વાત તો એ છે કે, બીઆરટીએસ કોરિડોર કે તેની આસપાસ કોઇપણ પ્રકારનું ચોકસાઇપૂર્વકનું કે અસરકારક ટ્રાફિક નિયમન કે સુરક્ષા કવચ જ નથી. જેના કારણે છાશવારે આવા અકસ્માતો સર્જાતા રહે છે અને ઘણીવાર આ પ્રકારની આજના જેવી કરૂણાંતિકા સર્જાય છે. અમદાવાદ શહેરમાં બેફામ ચાલતી બીઆરટીએસ બસથી અકસ્માતના પ્રમાણમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે હવે લોકોમાં ઉગ્ર આક્રોશ સામે આવી રહ્યો છે. ખાસ કરીને તાત્કાલિક ધોરણે બીઆરટીએસ કોરિડોર હટાવવા માંગ ઉઠી રહી છે.

અકસ્માતોના કારણો...

અમદાવાદ, તા. ૨૧ : બીઆરટીએસ રુટ પર થઇ રહેલા અકસ્માતોના લીધે સામાન્ય લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. બીજી બાજુ બુદ્ધિજીવી લોકો એમ પણ માની રહ્યા છે કે, બીઆરટીએસ રુટ અલગ બનાવવામાં આવ્યો હોવા છતાં તેમાં બેદરકારીપૂર્વક સામાન્ય વાહન ચાલકો ઘુસી જાય છે જેથી અકસ્માતોનો ખતરો વધી જાય છે. બીજી બાજુ વિરોધ કરનાર લોકોનું કહેવું છે કે, બીઆરટીએસ આવ્યા બાદથી જ અકસ્માતોનો સિલસિલો વધ્યો છે.

*       અપૂરતાં પ્રમાણમાં ટ્રાફિક સાઇન

*       સર્વિસ રોડ, મેઇન રોડ પર આડેધડ પાર્કિંગ

*       ઝીબ્રા ક્રોસિંગનો અભાવ

*       રેલીંગ પર રેડિયમ નથી

*       ઠેર-ઠેર રેલીંગ તૂટેલી

*       સિમેન્ટના બેરીકેડ્સ પ્લાનીંગ વગરના

*       બીઆરટીએસ કોરિડોરમાં કે તેની આસપાસ ટ્રાફિક નિયમન

        જ નથી

(8:19 pm IST)