Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

૨૪-૨૫ વચ્ચે કેસીજી ખાતે AILFનું આયોજન કરાયું

કલા-સંસ્કૃતિ ક્ષેત્રે વૈશ્વિક ફલક પર ઉજાગર કરાશે : અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટીવલ ગૌરવપૂર્ણ ઘટના :યંગસ્ટર્સ માટે એઆઇએલએફ થકી શાનદાર તક

અમદાવાદ,તા. ૨૧ : અમદાવાદ શહેરમાં તા.૨૪ અને ૨૫ નવેમ્બર, ૨૦૧૮ના રોજ  કેસીજી (નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત), ગુજરાત યુનિવર્સિટી પાસે, પીઆરએલ ખાતે અમદાવાદ ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (એઆઈએલએફ)ની ત્રીજી આવૃતિનું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરાષ્ટ્રીય લિટરેચર ફેસ્ટિવલમાં ઉગતા લેખકો, વાચકો, પબ્લિશર્સ, પત્રકારો, શિક્ષણવિદ્દો, વિચારકો, કલાકારો અને વિદ્યાર્થીઓ સાહિત્ય, કલા અને સંસ્કૃતિની ઉજવણી માટે ભારતભરમાંથી અને વિદેશોમાંથી એકત્ર થશે. આ ફેસ્ટીવલ મારફતે અમદાવાદ શહેરને સ્માર્ટ સીટીની સાથે સાથે કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે વૈશ્વિફ ફલક પર ઉજાગર કરવાનો અનોખો પ્રયાસ થશે એમ અત્રે એઆઇએલએફના સ્થાપક ઉમાશંકર ઉપાધ્યાય અને ડાયરેકટર પીન્કી વ્યાસે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ફેસ્ટીવલ યંગસ્ટર્સ અને નવી કલા-પ્રતિભા અને સંશોધનને અદ્ભુત પ્લેટફોર્મ થકી ઉમદા તક પૂરી પાડશે. યંગસ્ટર્સ માટે કલા, સાહિત્ય અને સંસ્કૃતિ પરત્વે પ્રોત્સાહિત કરવા મસ્તી કી પાઠશાલાનું ખાસ સેશન રાખવામાં આવ્યું છે. તો, સૌપ્રથમવાર મલ્ટિ લેંગ્વેજ કવિ સંમેલન યોજાશે. જેમાં હિન્દી, ગુજરાતી ઉર્દૂ ઉપરાંત, અંગ્રેજી, બંગાળી, ફ્રેન્ચ સહિતની અનેક ભાષાઓમાં કવિ સંમેલનની રંગત જામશે. આ ફેસ્ટિવલનું ઉદઘાટન રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરાશે. આ પ્રસંગે બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય, જાણીતા કવિ હર્ષ બ્રહ્મભટ્ટ, ડો. એસ કે નંદા, આઈએએસ(સેવાનિવૃત), પદ્મશ્રી અને ગુજરાત સાહિત્ય એકેડમી,અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા, શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા, શિક્ષણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી શ્રીમતી અંજુ શર્મા (આઈએએસ) તથા જેનઆઈસીસી, જાકાર્તાના ડિરેક્ટર માર્કન્ડ શુક્લ, સેપ્ટ યુનિવર્સિટીના પ્રો.આર્થર ડફ, પીડીપીયુના નિષ્ણાત પ્રોફેસર પ્રદીપ મલિક અને એઆઇએલએફના ડાયરેકટર સંદીપ અગ્રવાલ સહિતના અનેક મહાનુભાવો ખાસ હાજરી આપશે. આ સિવાય ફેસ્ટિવલના સ્પોન્સર્સ અને પાર્ટનર્સ ઉપરાંત ગુજરાતી સાહિત્યની હસ્તીઓ, સેલિબ્રિટી લેખકો, ફિલ્મનિર્માતાઓ પણ સહભાગી બનશે. એઆઇએલએફના સ્થાપક ઉમાશંકર ઉપાધ્યાય અને ડાયરેકટર પીન્કી વ્યાસે વધુમાં જણાવ્યું કે, પેનલ ડિસ્કશનમાં સ્ટોરીઝ ઓફ આઈએએસ ઓફિસર્સ, સિનેમા એન્ડ સોસાયટી, જર્ની ઓફ અ જર્નાલિસ્ટ, સ્ટોરીઝ ઓફ સ્પોર્સ, આર્ટ સિટી એન્ડ સ્માર્ટ સિટી, ગુજરાતી શોર્ટ સ્ટોરીઝ, સિગ્નિફિકન્સ ઓફ હ્યુમર ઈન લિટરેચર, ગોડ ઈઝ ધ ગ્રેટેસ્ટ સાયન્ટીસ્ટ, પબ્લિશીંગ એન્ડ લિટરરી એજન્ટ્સ, મલ્ટી લેંગ્વેજ પોએટ્રી રિસાઈટેશન જેવા અનેક વિષયો પર ચર્ચા થશે. આ સાથેની પ્રવૃતિઓ જેમકે ડ્રીમ રાઈટીંગ, સ્ટોરી ટેલીંગ, હિન્દી મુશાયરા જેવા કાર્યક્રમો ઉપરાંત કચ્છના ભાતીગળ વાદ્યોના વાદન, સિદ્દી ધમાલ ગ્રૂપનું પર્ફોર્મન્સ અને વૈષ્ણવ જન તો તેને કહીએ.. જેવા ભજનો સહિત અનેક કલા-સંસ્કૃતિનો હૃદયસ્પર્શી એહસાસ કરાવતા કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ફેસ્ટિવલમાં નોંધપાત્ર રીતે બાળકો (૧૫-૨૦) અને યુવાનો (૨૦-૪૦ વય)માં લેખન અને વાંચનને પ્રમોટ કરવાનો હેતુ છે, જેમાં સ્ટોરીટેલિંગ, કાવ્યો, ઉદ્યોગસાહસિકતા અને આત્મવિકાસ પર લક્ષમાં રાખવામાં આવશે. આ ફેસ્ટિવલ ગુજરાતી સાહિત્ય અને ઈન્ડિયન/ઈન્ટરનેશનલ લિટરેચર વચ્ચેની કડી તરીકે રહેશે અને પ્રવાસન માટેનો માર્ગ પણ બનશે. તમામ સ્કૂલ અને કોલેજોમાંથી વિદ્યાર્થીઓ, શહેર, પ્રદેશ અને દુનિયાના અન્ય ભાગોમાંથી સાહિત્યપ્રેમીઓ સાથે સામેલ થશે. ફેસ્ટિવલ સંપૂર્ણપણે લોકો માટે ખુલ્લો છે જેમાં ૬૦થી વધુ વક્તાઓ, લેખકો અને વિવિધ ક્ષેત્રની જાણીતી સેલિબ્રિટીઝ સામેલ થશે અને વિવિધ પૂર્વનિર્ધારિત વિષયો પર પોતાના મંતવ્યો રજૂ કરશે. જેમાં વિવિધ રાષ્ટ્રીયતાના અને ધર્મના તમામ વયજૂથના ૭૦૦૦થી વધુ સાહિત્યપ્રેમીઓ સામેલ થશે.    

(9:08 pm IST)