Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

સુરતમાં ખીચડી કૌભાંડ અનોખો વિરોધ: કોંગ્રેસે પાલિકાની કચેરી બહાર ખીચડી વહેચી ઉઘરાવ્યું

મનપા દ્વારા ખીચડીને લઇને 22 કરોડનું કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ

સુરત : સુરત મહાનગર પાલિકા દ્વારા 22 કરોડથી વધુના ખીચડી સહિતના ભોજનના બિલ લોકડાઉનમાં વિવિધ કેટરર્સ તેમજ સંસ્થાઓને ચુકવાયા હતા. જેને લઇને કોગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ફ્રી માં ભોજનની વાતો કરતી સંસ્થાઓને શા માટે મનપા દ્વારા બિલ ચુકવવામાં આવ્યા છે. જેને લઇને કોગ્રેસ દ્વારા આજે મહાનગર પાલિકાની કચેરી બહાર અનોખી રીતે વિરોધ નોધાવ્યો હતો. કોગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મનપાની મુખ્યકચેરી બહાર ખાસ સ્ટોલ લગાવવામાં આવ્યો હતો અને લોકોને ખીચડી ખાવા માટે આપવામાં આવી હતી અને મનપા દ્વારા ખીચડીને લઇને 22 કરોડનું કૌભાંડ કર્યું હોવાની વાત લોકો સમક્ષ મુકી છે.

લોકડાઉન દરમિયાન સુરત શહેરમાં 500થી વધુ નાની મોટી સંસ્થાઓએ લોકોને જમાડવાની કામગીરી કરી હતી. ત્રણ મહિનાના સમય ગાળામાં કરોડો લોકોને જમાડવામાં આવ્યા હતા. તે સમયે એવું કહેવામાં આવતું હતું કે સેવા ભાવી સંસ્થાઓ વિના મુલ્યે લોકોને ખવડાવી રહ્યા છે. પરંતુ અનલોક દરમિયાન કરોડો રૂપિયા એ સંસ્થાઓને ચુકવવામાં આવ્યા તેવી બાબત સામે આવી હતી. એવામાં પણ જે મોટી મોટી સંસ્થાઓ હતી તેમના દ્વારા બિલ આપવામાં આવ્યા ન હતા. તો આ રૂપિયા શેના ચુકવાયા તેને લઇને પણ પ્રશ્ન ઉભા થયા હતા.

આ વિવાદને લઇને અનેક લોકોની સાથે કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ તપાસની માંગણી કરવામાં આવી હતી. પરંતુ આખા મામલાને દબાવી દેવામાં આવ્યો હતો. જેથી આજે કોગ્રેસ દ્વારા લોકો સુધી આ વાત પહોંચે તેને લઇને અનોખી રીતે વિરોધ પ્રદર્શન મનપા કચેરી બહાર કરવામાં આવ્યા હતા. જેમાં ગૌરાંગ પટેલ, પાર્થ લાખાણી, ફયસલ રંગુની સહિતના કોગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મનપાની કચેરી બહાર ખીચડીનો સ્ટોલ લગાવ્યો હતો અને લોકોને ખીચડી આપી હતી. સાથે સાથ ફંડની ઉધરાણી પણ કૌભાંડીઓ માટે કરવામાં આવી હતી.

(9:21 pm IST)