Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

બટાકાના હોલસેલ ભાવ 700થી 800 રૂપિયે મણઃ સંગ્રહ કરનારા વેપારીઓને ભારે લાભ

બનાસકાંઠા: એકબાજુ કોરોનાકાળમાં લોકોની આવક ઘટી છે, ત્યારે બીજી બાજુ મોંઘવારીના મારે લોકોના ઘરનું બજેટ ખોરવાયું છે. રોજિંદા રસોડામાં વપરાતા બટાટા અને ડુંગળીના ભાવ અચાનક આસમાને પહોંચતા લોકોના ઘરમાંથી ડુંગળી-બટાટા ગાયબ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ બટાકાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. વર્ષો બાદ પહેલીવાર ભાવ આસમાને પહોંચ્યા છે. બટાટાના હોલસેલ ભાવ 700 થી 800 રૂપિયે મણ પહોંચ્યા છે. આવામાં 20 વર્ષ બાદ પહેલીવાર બટાટામાં આટલી તેજી આવી છે. બટાટાનો સંગ્રહ કરનાર વેપારી ખેડૂતો માટે સોનાનું વર્ષ સાબિત થયું છે.

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી અને શાકભાજીના રાજા ગણાતા બટાટાના ભાવ અચાનક આસમાને પહોંચી જતાં લોકોને શાકભાજી ખરીદવું ખુબજ મોંઘુ બન્યું છે. બટાટાના કિલોના હોલેસલ ભાવ 35 -40 રૂપિયા અને રિટેઈલ ભાવ કિલોએ 40 -50 રૂપિયા સુધી પહોંચ્યા છે. તો ગરીબોની કસ્તુરી ડુંગળીમાં નાસિકની ડુંગળીના હોલેસલ ભાવ કિલોએ 60-65 રૂપિયા, તો રિટેઈલ ભાવ 80 રૂપિયા આસપાસ પહોંચ્યા છે. તો સૌરાષ્ટ્રની ડુંગળીના હોલેસલના ભાવ 50 રૂપિયા કિલોએ અને રિટેઈલમાં 60 રૂપિયા કિલોએ પહોંચ્યા છે. જેના કારણે ગ્રાહકો ડુંગળી અને બટાટાની ખરીદી ઓછી કરી રહ્યા છે.

જોકે બટાટા અને ડુંગળીના ભાવ કેટલા છે અને આ ભાવ વધારો કેમ થયો છે તે તે વિશે ડુંગળી-બટાટાના હોલસેલર વેપારીએ જણાવ્યું કે, બટાટાનું મોટાભાગે પંજાબમાં 75 ટકા વાવેતર અને બનાસકાંઠામાં 25 ટકા વાવેતર થાય છે. જોકે આ વર્ષે હજુ પંજાબના બટાટાનું ઉત્પાદન મોડું શરૂ થશે અને તેના બટાટા માર્કેટમાં આવ્યા નથી. જેથી અચાનક બટાટાની તંગી ઉભી થતાં ભાવ ખૂબ જ ઉચકાયા છે. તો મોટાભાગે ડુંગળી નાસિક અને સૌરાષ્ટ્રમાંથી આવતી હોય છે. પરંતું આ વર્ષે વરસાદના કારણે વાવેતર ઓછું અને લેટ થયું છે. જેથી ડુંગળીની પણ માર્કેટમાં અછત સર્જાઈ છે. જેથી તેના ભાવ વધ્યા છે અને ટૂંક સમયમાં જ ડુંગળી 100 રૂપિયે કિલો થાય તેવું લાગી રહ્યું છે. બટાટા અને ડુંગળીના ભાવ હજુ 1 મહિના સુધી આવી રીતે જ વધુ રહેશે.

સામાન્ય રીતે ઘરના રસોડામાં બટાટા અને ડુંગળી મોટા પ્રમાણમાં વપરાતા હોય છે અને તેના ભાવ પણ ઓછા હોવાથી લોકો તે વધુ પ્રમાણમાં ખરીદતા હોય છે. પરંતુ અચાનક બટાટા અને ડુંગળીના ભાવ વધતા બટાટા અને ડુંગળી ખરીદવા આવેલા લોકો તેને ખરીદ્યા વગર પાછા જઇ રહ્યા છે અને આ ભાવ વધારાને લઈને તેમનું બજેટ ખોરવાયાનું કહી રહ્યા છે.

અચાનક જ બટાટા અને ડુંગળીના ભાવ આસમાને પહોંચતા લોકો તેની ખરીદી ઓછી કરી રહ્યા હોવાથી વેપારીઓ મૂંઝાયા છે. તો જે વેપારીઓ અને ખેડૂતોના બટાટા કોલ્ડ સ્ટોરેજમાં પડ્યા છે, તેમને આ ભાવ વધારો વેપારીઓને સોનાના સૂરજ સમાન લાગતાં તેમને મોટો ફાયદો થઈ રહ્યો છે.

(5:33 pm IST)