Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

વિધાનસભાના અધ્યક્ષ-ઉપાધ્યાક્ષ- મંત્રી મંડળના સભ્યો ધારાસભ્યોના પગાર ભથ્થામાં ૩૦ટકાના કાપને લગતુ સુધારા વિધેયક વિધાનસભામાં પસાર થયું : પ્રજાનો જીવન બચાવવાની લડાઇમાં પ્રજાના પ્રતિનિધિઓ પણ પોતાનું યોગદાન કરશે : વૈધાનિક સંસદીય મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ગાંધીનગર : ગાંધીનગર ગુજરાત વિધાનસભાના  અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મંત્રી મંડળના સભ્યો, ધારાસભ્યો સહિતના પ્રજાના પ્રતિનિધિઓના પગાર ભથ્થામાં ૩૦ ટકાના કાપને લગતુ સુધારા વિધેેયક વિધાનસભામાં પસાર થયું હતું. પ્રજાનો જીવ બચાવવાની લડાઇમાં પ્રજાના પ્રતિનિધિઓ પણ પોતાનું યોગદાન કરશે તેમ વૈધાનિક સંસદીય મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું.

વૈધાનિક અને સંસદીય મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોરોના મહામારીના કારણે રાજ્ય સરકારની આવકોમાં ઘટાડો થયો છે અને આ મહામારીને લીધે પ્રજાજનોના જાન બચાવવા ખર્ચમાં અનેકગણો વધારો થયો છે. કોરોના સામેની આ લડાઈ માટે વધુ નાણાની આવશ્યકતા હોઈ પ્રજાના પ્રતિનિધિઓના પગારના ૩૦% એપ્રિલ, ૨૦૨૦ થી માર્ચ, ૨૦૨૧ સુધીના એક વર્ષના સમયગાળા માટે કાપી લેવા સબંધિત પગાર ભથ્થાં કાયદાઓમાં સુધારા કરતો વટહુકમ ૮મી એપ્રિલ, ૨૦૨૦ના રોજ બહાર પડાયો હતો.

ગુજરાત વિધાનસભાના સભ્યો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, મંત્રીઓ અને વિરોધપક્ષના નેતાના પગાર અને ભથ્થાંને લગતા કાયદા (સુધારા) વિધેયક, ૨૦૨૦ રજુ કરતા જણાવ્યું કે, કોરોના વૈશ્વિક મહામારી સામેની લડાઇ માટે ગુજરાત વિધાનસભાના તમામ સભ્યોના બેઝિક પગારમાંથી એપ્રિલ,૨૦૨૦ થી એક વર્ષ માટે માસિક ૩૦ ટકા પગાર કાપ કરાશે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ગુજરાત વિધાનસભાના સભ્યશ્રીઓ, અધ્યક્ષશ્રી અને ઉપાધ્યક્ષશ્રી, વિરોધપક્ષના નેતાશ્રી અને ગુજરાત રાજ્યના મંત્રીશ્રીઓનો પગાર, ભથ્થાં અનુક્રમે ગુજરાત વિધાનસભા સભ્‍યોના પગાર તથા ભથ્‍થાં બાબત  અધિનિયમ, ૧૯૬૦, ગુજરાત વિધાનસભા (અધ્‍યક્ષ અને ઉપધ્‍યક્ષ) પગાર તથા ભથ્‍થાં બાબત અધિનિયમ, ૧૯૬૦, ગુજરાત મંત્રીશ્રીઓના પગાર તથા ભથ્‍થાં બાબત અધિનિયમ,૧૯૬૦ અને ગુજરાત વિધાનસભા (વિરોધપક્ષના નેતા) પગાર તથા ભથ્‍થાં બાબત અધિનિયમ, ૧૯૭૯ થી પ્રાપ્ત થાય છે. સંબંધિત કાયદાઓમાં સુધારા કરવાના હેતુથી તા.૦૮/૦૪/૨૦૨૦ના રોજ  વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો, આ વટહુકમને કાયદામાં પરિવર્તિત કરવો જરૂરી છે. તે માટે આ વિધેયક આ સભાગૃહ સમક્ષ રજૂ કરું છું. સભ્યો અને પદાધિકારીઓના પગાર ભથ્થાંને લગતા સંબંધિત કાયદાઓમાં એપ્રિલ, ૨૦૨૦થી સુધારા કરવાના કારણે માસિક ૩૦% લેખે મૂળ પગારમાં ઘટાડો થયેલ છે અને આ ઘટાડેલા મૂળ પગાર ઉપર હાલ ૧૭% લેખે મોંઘવારીભથ્થું મળવાપાત્ર થાય છે. ધારાસભ્યોને પ્રતિમાસ મૂળ પગાર રૂ.૫૫,૧૬૦/- તથા તેના પર ૧૭% લેખે મોંઘવારી ભથ્થું માર્ચ, ૨૦૨૦ સુધી મળતું હતું. પદાધિકારીઓને પ્રતિમાસ મૂળ પગાર રૂ.૬૮,૯૫૦/- તથા તેના પર ૧૭% લેખે મોંઘવારી ભથ્થું માર્ચ, ૨૦૨૦ સુધી મળતું હતું.

 તેમણે ઉમેર્યુ કે, આ સુધારા વિધેયકથી ૧૨ માસ દરમ્યાન પદાધિકારીઓના પગારકાપથી અંદાજીત વાર્ષિક રૂ.૬ કરોડ ૨૭ લાખ બચત થશે. આ તમામ રકમ કોરોનાની મહામારી સામે લડી રહેલા નાગરિકોને યોગ્ય સારવાર મળી રહે તે માટે વપરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પક્ષના ૪૮ જેટલા ધારાસભ્યશ્રીઓએ સ્વૈચ્છિક રીતે એક એક લાખ રૂપિયા મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં કોરોના મહામારી સામેની રાજ્ય સરકારની કામગીરીમાં થનારા ખર્ચમાં મદદરૂપ થવા ફાળો આપ્યો છે.  રાષ્ટ્રપતિશ્રી, ઉપરાષ્ટ્રપતિશ્રી અને રાજ્યોના રાજ્યપાલશ્રીઓએ પણ સ્વૈચ્છિક રીતે પગારકાપ સ્વિકાર્યો છે.

(11:09 pm IST)