Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

દંપતી વચ્ચે તકરાર થતા પતિએ પત્ની સાથે દોઢ વર્ષના પુત્રને કેનાલમાં ફેંકી દીધા : પત્નીનો મૃતદેહ મળ્યો : બાળકની શોધખોળ: હત્યારા પતિની ધરપકડ

ગુલાબસિંહે બોલાચાલી થતા પત્ની જયા અને પુત્ર દક્ષરાજને કેનાલમાં ફેંકી દીધા હોવાની કબુલાત આપી

 

છોટાઉદેપુર જિલ્લામાં દંપતી વચ્ચે તકરાર થતા પતિએ પત્ની સાથે દોઢ વર્ષના પુત્રને કેનાલમાં ફેંકી દીધો હોવાની ઘટના સામે આવતા સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે. જો કે, ત્રણ દિવસની શોધખોળ બાદ વાઘોડિયા નજીક કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જયારે બાળકના મૃતદેહની શોધખોળ કરાઇ રહી છે. પરિણીતાના પિતાએ ફરિયાદ નોંધાવતા બોડેલી પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી છે.

  અંગે મળતી વિગત મુજબ બોડેલી તાલુકાના રહેવાસી ગુલાબસિંહ પરમારના લગ્ન વાઘોડિયા તાલુકાના રાજપુરા ગામની જયા સાથે થયા હતા. તેમને સંતાનમાં બે દિકરા હતા. જેમાં એક 13 વર્ષનો સિદ્ધાર્થ અને દોઢ વર્ષનો દક્ષરાજ. ગત 16મી સપ્ટેમ્બરના રોજ ગુલબાસિંહ તેની પત્ની અને દાઢ વર્ષના દક્ષરાજને લઇને ભાદરથી રાજપુરા જવા નીકળ્યો હતો. તે દરમિયાન ગુલાબસિંહે અલ્હાદપુરાના બ્રિજ પર થઇને ઝાંખરપુરા પાસે બાઇક ઉભું રાખ્યું હતું. જ્યાં ગુલાબસિંહે તેની પત્ની જયા અને પુત્ર દક્ષરાજને ધક્કો મારી કેનાલમાં ફેંકી દીધા હતા.

જો કે, તે દિવસ સાંજે ગુલાબસિંહના પિતાએ જયાના પિતાને ફોન કરીને જાણ કરી હતી કે, ગુલાબ, જયા અને દક્ષરાજ બાઇક પર ત્યાં આવા નીકળ્યા છે. તેઓ આવી પહોંચ્યા છે? ત્યારે જયાના પિતાએ ના પાડી હતી. જો કે, આ અંગે જ્યારે તેમણે ગુલાબની પૂછપરછ કરી તે દરમિયાન ગુલાબસિંહ યોગ્ય જવાબ ના આપતા તેઓએ તેને પોલીસ સ્ટેશન લઇ જવાની ધમકી આપી હતી. ત્યારબાદ ગુલાબસિંહે બોલાચાલી થતા પત્ની જયા અને પુત્ર દક્ષરાજને કેનાલમાં ફેંકી દીધા હોવાની કબુલાત કરી હતી. જો કે, સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે જયા અને દક્ષરાજની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

(11:53 pm IST)