Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

અંબાજી મેળા : ગુમ બાળકોની ખુબ જ વહેલી તકે ભાળ મળશે

વોડાફોન બાળકોને ડિજિટલી સલામત બનાવશેઃ માસૂમ બાળકને વોડાફોન ક્યુઆર કોડ ધરાવતા ઓળખ પત્રો અપાશે જે તેમને લાપતા થવાથી બચાવશે : અહેવાલ

અમદાવાદ,તા.૨૧: વોડાફોન આઇડિયાએ ગુજરાતમાં ચાલુ શનિવાર-રવિવારે ભાદરવી પૂર્ણિમાનાં મેળાની મુલાકાત લેનાર હજારો યાત્રાળુઓ માટે સુરક્ષિત અને ચિંતામુક્ત આધ્યાત્મિક અનુભવ સુનિશ્ચિત કરવા અનોખી અને પ્રથમ પ્રકારની પહેલની જાહેરાત કરી છે. જે મુજબ, વોડાફોન દ્વારા ૧૪ વર્ષથી ઓછી વયના બાળકોને કયુઆર(કવિક રિસ્પોન્સ) કોડ સ્વરૂપે કાર્ડ અપાશે, જેના કારણે તેઓ ગમે તેટલી ભીડમાં પણ ગુમ થશે, જો કદાચ આવા બાળકો માતા-પિતાથી વિખૂટા પડયા હશે કે ભૂલા પડયા હશે તો પણ વોડાફોનની આ ડિજિટલી સીસ્ટમથી તાત્કાલિક મળી જશે. વોડાફોન કંપની જે સમુદાયો વચ્ચે કામ કરે છે એ સમુદાયોનાં સ્વાસ્થ્ય, સલામતી અને સુખાકારીનાં ઊંચા ધારાધોરણો હાંસલ કરવાની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને અનુરૂપ ચાલુ વર્ષે ૧૪ વર્ષથી ઓછી વયનાં તમામ બાળકોને ક્યુઆર (ક્વિક રિસ્પોન્સ) કોડ સ્વરૂપે વોડાફોન રક્ષા સૂત્રો સાથે સંરક્ષિત કરવામાં આવશે, જે તેમનાં વસ્ત્રો પર પિન કરવામાં આવશે. ટોળામાં પોતાનાં પરિવારથી અલગ પડી જવાનાં કિસ્સામાં વોડાફોન રક્ષા સૂત્રો સુનિશ્ચિત કરશે કે બાળકો એમની પટ્ટીમાં સેવ કરેલા ડેટા મારફતે પરિવાર સાથે ફરી જોડાઈ શકશે. આ પહેલ અંબાજીનાં મેળા દરમિયાન બાળકો ગુમ થવાની ઘટનાઓનું નિવારણ કરવામાં મદદ કરશે તથા ગુજરાત પોલીસ ફોર્સને વધારે મહત્ત્વપૂર્ણ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા સમય ફાળવવા અને પ્રયાસો હાથ ધરવામાં સહાયક થશે. ૧૪ વર્ષથી ઓછી વયનાં બાળકો સાથે અંબાજીનો પ્રવાસ કરનાર કુટુંબો મંદિરની આસપાસ સ્થિત વોડાફોન આઇડિયાનાં પાંચ પંડાલમાંથી કોઈ પણ પંડાલની મુલાકાત લઈ શકે છે અને આ સેવા મેળવવા નોંધણી કરાવી શકશે. નોંધણી થયા પછી દરેક બાળકને એનું નામ, માતાપિતાનું કે સંરક્ષકનું નામ, સંપર્કનંબર અને પ્રસ્તુત વિગતો ધરાવતી વોડાફોન રક્ષા સૂત્ર પ્રદાન કરવામાં આવશે. જો બાળક એનાં પરિવારથી વિખૂટું પડી જશે, તો તેઓ નજીકનાં વોડાફોન આઇડિયા પંડાલની મુલાકાત લઈ શકે છે, જ્યાં સ્વયંસેવકો તેમને બાળકનાં ક્યુઆર કોડનાં સ્કેનિંગ દ્વારા મદદ કરશે અને બાળકનાં માતાપિતાઓને બાળકનાં લોકેશન વિશે જાણકારી આપતો એસએમએસ કરશે. વોડાફોન રક્ષા સૂત્ર ક્યુઆર કોડ બાળકની ઓળખની કામગીરી કરવામાં મદદરૂપ થશે અને પોતાનાં પ્રિયજન સાથે ઝડપથી મેળવવામાં સહાયક બનશે. સૌપ્રથમવાર અમલી બનાવાયેલી વોડાફોનની આ અનોખી પહેલ અંબાજીના લાખો શ્રધ્ધાળુ ભકતો અને તેમના બાળકો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે તે નક્કી છે.

(10:06 pm IST)