Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

ગુજરાતમાં નહિવત વરસાદ છતા વીજળી પડવાની ઘટનામાં ત્રણ વ્‍યકિતઓએ જીવ ગુમાવ્‍યા

 

અમદાવાદઃ શનિવારે વિજળી પડવાની ઘટનામાં રાજ્યમાં ત્રણનાં મોત નિપજ્યા છે. ગુજરાતમાં આ વખતે પણ ચોમાસું નબળું રહ્યું છે અને હજુ પણ અનેક વિસ્તારમાં સિઝનનો પ્રથમ વરસાદ નોંધાયો નથી, શનિવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળ્યો હતો. અનેક જગ્યાએ તોફાની પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી.

શનિવારે બોટાદના તુરખા ગામે વીજળી પડતાં બે યુવાનોનાં મોત નિપજ્યા હતા. ખેતરમાં આવેલા તેમના ઝુંપડા ઉપર જ્યારે વીજળી પડી ત્યારે પિતરાઈ ભાઈઓ ઝુંપડાની અંદર હતા અને તેમનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત, દેવગઢ બારિયા તાલુકાના ઝાપટીયા ગામે પશુધન ચરાવતી મહિલા પર અવકાશી વીજળી પડતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મહિલાનું મોત નિપજતા ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત, મોરબી જિલ્લાના માળીયાના રાસંગપર ગામે આકાશમાંથી વિજળી પડી હતી, પરંતુ સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.

(12:00 pm IST)