Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ઇન્ટેલીજન્સ બ્યુરોનો રિપોર્ટ

ત્રીજી લહેરને રોકવા રથયાત્રાથી માંડીને દર વર્ષે યોજાતા જન્માષ્ટમીના મેળા પણ કેન્સલ કરો

જો આવા કાર્યક્રમો યોજાશે તો ત્રીજી લહેર આવશેઃ સ્થિતિ ગંભીર બનશે

અમદાવાદ, તા.૨૧: કોરોના કાળમાં રથયાત્રા યોજવી કે નહીં તેને લઈને અસમંજસ જોવા મળી રહી છે. ત્યારે, રથયાત્રામાં પહેલું વિઘ્ન આવી પહોંચ્યું છે. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોએ આ વર્ષે રથયાત્રા ન યોજવા સરકારને સૂચન આપ્યું છે. આ સાથે જ રથયાત્રાને લઇને સરકારને એલર્ટ રહેવા પણ જણાવ્યું છે. ઇન્ટેલિજન્સ બ્યુરોએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, જો રથયાત્રા યોજાશે તો કોરોનાની ત્રીજી લહેર આવશે અને ગંભીર પરિસ્થિતિ સર્જાશે.

ઇન્ટેલિજન્સ બ્યુરોએ રથયાત્રાની સાથે જન્માષ્ટમીમાં પણ મેળાનું આયોજન રદ કરવાનો ઉલ્લેખ કર્યો છે. રથયાત્રા વિશે જણાવ્યું છે કે, ફકત મંદિર પરિસરમાં જ રથયાત્રા યોજાવી જોઈએ. જોકે, રથયાત્રાને લઈને ૨૪ જૂન સુધીમાં રાજય સરકાર નિર્ણય લઈ શકે છે. સરકાર ઇન્ટેલિજન્સ બ્યુરોના અહેવાલની અવગણના કરશે નહીં, તેવું લાગી રહ્યું છે. પરિણામે આ વર્ષે પણ રથયાત્રા નીકળવાની શકયતા હવે ઓછી થતી જણાય છે. ઇન્ટેલિજન્સ બ્યુરોએ પોતાના રિપોર્ટમાં ઈન્ડીયન મેડીકલ એસોસિએશનના તારણોનો પણ હવાલો આપ્યો છે. જયાં સુધી ૧૦૦ ટકા વેકિસનેશન ન થાય, ત્યાં સુધી કોઈ પણ ધાર્મિક મેળાવડાઓ ન થાય તેઓ ઇન્ટેલિજન્સ બ્યુરોનો મત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગ્રણી નેતાઓ અને સંતો-મહંતોનો રથયાત્રા કાઢવા ઈચ્છા ધરાવે છે. પરંતુ, જો રથયાત્રા નીકળે તો પાછળ આવતા તમામ ધર્મના તહેવારોમાં પણ છૂટ આપવી પડે. બીજી તરફ અમદાવાદ મેડિકલ એસોસિએશને પણ એક વર્ષ સુધી કોઈપણ પ્રકારના મેળાવડા યોજવાની સખત મનાઈ ફરમાવી છે. કારણ કે, અત્યારથી જ લોકો કોવિડ ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા નથી. કોરોના સતત વેરીઅન્ટ બદલી રહ્યો છે. ૧૦૦ ટકા વેકસીનેશન બાદ જ આવી છૂટ આપી શકાય.

(1:27 pm IST)