Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ભરૂચ-માંડવા ટોલ પ્લાઝા પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા ટેમ્પો ચાલક અને ક્લીનરનું મોત

અજાણ્યા વાહન ચાલાક વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ

ભરૂચ-માંડવા ટોલ પ્લાઝા પાસે અજાણ્યા વાહને ટેમ્પોને ટક્કર મારી મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પો ચાલક અને ક્લીનરના મોત નિપજ્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ મથકની હદમાં આવેલા માંડવા ટોલ પ્લાઝા નજીક કોઈ અજાણ્યા વાહને આઇશર ટેમ્પોને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજવા પામ્યું હતું જ્યારે કલીનરનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર નેશનલ હાઇવે નંબર-48 પર આવેલા માંડવા ટોલ પ્લાઝા નજીક મધ્ય રાત્રિએ કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે, ગફલતભરી રીતે હંકારી આઇશર ટેમ્પો નંબર જીજે-27-ટીટી-0943ને ટક્કર મારતા આઇશર ટેમ્પો ચાલક સુભાષભાઈ નાગજીભાઈ ઠાકોર તેમજ ક્લીનર મહેશભાઈ નાગજીભાઈ ઠાકોર બન્ને રહેવાસી અમદાવાદને ઇજા થઇ હતી. જેમાંથી ચાલક સુભાષને ઘૂંટણના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

જ્યારે ઇજાગ્રસ્ત ક્લીનર મહેશભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેઓનું મૃત્યુ થયું હતું. બનાવ સંદર્ભે રોશન કુમાર બિપીનભાઈ પારેખ કે જેઓ નર્મદા ટોલ પ્લાઝામાં અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેઓએ અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ફરાર વાહન ચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

(10:37 pm IST)