Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

સરકાર દ્વારા ૧૪ આઇપીએસ અધિકારીઓને બઢતી અપાઇ

માનીતા અધિકારીઓની સરકાર દ્વારા કદર થઇ :આઇપીએસ જી.એસ.મલિક, હસમુખ પટેલ, ડો.નીરજા ગોત્રુ અને જે.કે.ભટ્ટને એડિશનલ ડીજીપી તરીકે બઢતી

અમદાવાદ,તા. ૨૧ :રાજ્ય સરકારે આજે ૧૪ જેટલા આઇપીએસ અધિકારીઓને બઢતી આપી છે. વર્ષ ૧૯૯૩, ર૦૦૦ અને ર૦૦પની બેચના અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. ૧૯૯૩ની બેચના આઇપીએસ અધિકારી જી.એસ.મલિક, હસમુખ પટેલ, ડો.નીરજા ગોત્રુ અને જે.કે.ભટ્ટને એડિશનલ ડીજીપી તરીકે બઢતી આપવામાં આવતાં રાજયના પોલીસ આલમમાં આજે આ બઢતીના સમાચારને લઇ ભારે ચર્ચા ચાલી હતી. રાજય સરકાર દ્વારા પુખ્ત વિચારણાના અંતે ર૦૦૦ની બેચના વી.ચંદ્રશેખર, નિપૂણા તોરવણે, એમ.એમ.અનારવાલા અને ડી.બી. વાઘેલાને આઇજી તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે ર૦૦પની બેચના મનીંદર પવાર, હિમાંશુ શુકલા, રાઘવેન્દ્ર વત્સ, પ્રેમવીરસિંહ, એમ.એસ. ભરાડા અને એચ.આર. ચૌધરીને સિલેકશન ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી આઇપીએસ અધિકારીઓની બઢતીની રાહ જોવાતી હતી. બઢતી અને બદલીને લઇને આઇપીએસ અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ૧૪ આઇપીએસ અધિકારીઓની બઢતી બાદ હવે આઇપીએસ અધિકારીઓની બદલીની રાહ જોવામાં આવી રહી છે. હાલમાં જે અધિકારીઓને બઢતી આપવામાં આવી છે તેઓને તેમના મૂળ સ્થાન પર યથાવત રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બીજીબાજુ, રાજયના પોલીસઆલમમાં સરકારે આખરે માનીતા અધિકારીઓની કદર કરી તેઓને બઢતી આપી ખરી તેવી ચર્ચાએ પણ જોર પકડયું હતું.

(7:58 pm IST)