Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

અમદાવાદ : માત્ર ૧૯ દિનમાં ઝાડા-ઉલ્ટીના ૭૪૩ કેસ થયા

કમળાના ૧૭૩ કેસો નોંધાતા તંત્રમાં ભાગદોડ : મે મહિનામાં વધતી ગરમી વચ્ચે પાણીજન્ય કેસો સપાટી પર : પાણીના મુખ્ય સ્ત્રોત અને ઘરમાં ક્લોરિન ટેસ્ટ થયા

અમદાવાદ, તા.૨૧ : પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તંત્રના પગલા બિનઅસરકારક સાબિત થઇ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝડપી પગલા લેવામાં આવી રહ્યા છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો મે મહિનામાં ૧૯ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૭૪૩ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના ૧૯ જ દિવસમાં ૧૭૩ અને ટાઇફોઇડના ૨૦૪ કેસ સપાટી ઉપર આવ્યા છે.

બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૧૯ દિવસના ગાળામાં ૨૭૬ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં મે મહિનામાં ૧૧૦૦ કેસ સાદા મેલેરિયાના નોંધાયા હતા. આ મહિનામાં ઝેરી મેલેરિયાના ૦૪ કેસો સપાટી ઉપર આવ્યા છે. મે ૨૦૧૭ દરમિયાન લીધેલા ૬૪૨૧૭ લોહીના નમૂના સામે ૧૯મી મે ૨૦૧૮ સુધીમાં ૫૧૮૭૯ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. મે ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૧૩૩૯ સીરમ સેમ્પલ સામે ૧૯મી મે ૨૦૧૮ સુધીમાં ૮૬૨ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાના અટકાયતના ભાગરુપે પાણીના મુખ્ય સ્ત્રોત અને ઘરમાંથી ચાલુ માસ દરમિયાન ૨૪૮૪૪ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં હાઈરિસ્ક વિસ્તારો અને કેસો નોંધાયા હોય તેવા વિસ્તારમાંથી ચાલુ માસમાં ૨૪૩૧ પાણીના સેમ્પલ બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા છે. ચાલુ માસમાં ૫૧૨૨૯૦ ક્લોરીન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે. મોબાઈલ મેડિકલ વાન મુકીને સ્થળ ઉપર સારવાર આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ચાલુ માસમાં ૮૮ અલગ અલગ ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા. જે હેઠળ ૭૨૪૫ કિલોગ્રામ અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે.  આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગને રોકવા વિવિધ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસ સપાટી ઉપર આવી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત ફેરફાર થવાના કારણે રોગચાળાના કેસોમાં વધારો થયો છે. આ અંગેની વિગત એવી છે કે,સમગ્ર રાજયની સાથે અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર ફેરફાર થયા છે. વર્ષ ૨૦૧૭ દરમિયાન હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી ૧૭૪૯ નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૭૭ નમૂના અપ્રમાણિત જાહેર થયા છે. એપ્રિલ ૨૦૧૮માં ૧૩૦ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૪ અપ્રમાણિત જ્યારે ૧૧૬ નમૂના પ્રમાણિત જાહેર થયા છે. ૧૯મી મે ૨૦૧૮ સુધીમાં ૮૮ નમૂના લેવામાં આવ્યા છે જે પૈકી ૫ અપ્રમાણિત જાહેર થયા છે અને ૨૩ નમૂના પ્રમાણિત જાહેર થયા છે.  ૬૦ નમૂના તપાસવાના બાકી છે.

રોગચાળાનું ચિત્ર.....

અમદાવાદ, તા.૨૧ : અમદાવાદ શહેરમાં રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેના લીધે કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ કેસોની સંખ્યા અટકી રહી નથી. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ નીચે મુજબ છે.

મચ્છરજન્ય કેસો

વિગત

મે ૨૦૧૭

મે ૨૦૧૮

સાદા મેલેરીયાના કેસો

૧૧૦૦

૨૭૬

ઝેરી મેલેરીયાના કેસો

૧૦

૦૪

ડેન્ગ્યુના કેસો

૧૪

૦૫

ચીકુનગુનિયા કેસો

૦૭

૦૧

પાણીજન્ય કેસો

ઝાડા ઉલ્ટીના કેસો

૧૦૧૨

૭૪૩

કમળો

૧૭૨

૧૭૩

ટાઈફોઈડ

૨૨૮

૨૦૪

કોલેરા

૦૯

૦૦

આરોગ્ય વિભાગના પગલા

અમદાવાદ, તા.૨૧ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.

ક્લોરિન ટેસ્ટ.............................................. ૨૪૫૪૪

બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના............... ૨૪૩૧

બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ.............. ૭૨૪૫

ક્લોરીન ગોળીઓનું વિતરણ...................... ૫૧૨૨૯૦

જંતુનાશક દવાનો છંટકાવ........................ ૨૪૩૬૩૬

નોટિસ અપાઈ.............................................. ૧૪૯૦

નિકાલ કરેલ ફરિયાદ..................................... ૩૧૫૩

મોબાઇલ કોર્ટ દ્વારા દંડ............................. ૧૫૭૪૫૦

વહીવટી ચાર્જ........................................ ૧૩૮૪૦૭૨

(7:59 pm IST)