Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

ગામડાને ધબકતુ કરવા માટે સરકાર કટિબદ્ધ છે : પુરસોત્તમ રૂપાલા

ભારતીય સેનાને આધુનિક શસ્ત્રો અપાઈ રહ્યા છે : સેનાને છુટો દોર આપીને આતંકવાદનો ખાત્મો બોલાવવા માટે તૈયારી કરવામાં આવી છે : રૂપાલા દ્વારા દાવો કરાયો

અમદાવાદ,તા.૨૦ : આજરોજ કેન્દ્રિય મંત્રી પુરસોત્તમ રૂપાલાએ બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર પરબત પટેલના સમર્થનમાં એક વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર હતી ત્યારે સરપંચે નાનામાં નાનું કામ કરાવવા ધારાસભ્ય કે સંસદસભ્યની પાછળ પાછળ આંટા મારવા પડતા હતાં, જ્યારે ભાજપાની સરકારે સરપંચને ગામના વિકાસ કામો કરવા માટે લાખો રૂપિયા તેમના ખાતામાં સીધા આપવાનો અને તે નાણાંનો ગામના વિકાસ કાર્યો માટે વાપરવાનો અધિકાર આપ્યો છે આનાથી ગામોનો વિકાસ ખૂબ ઝડપથી અને સારી રીતે થઇ શક્યો છે. આટલો મોટો ફરક આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ કરી શકે. રૂપાલાએ વધુમાં જણાવ્યું હતુ કે, ભારતમાં ૨.૫ લાખ ગ્રામ પંચાયત છે. આ ગ્રામ પંચાયતોના વિકાસ કાર્યો માટે કેન્દ્ર સરકારે ૨ લાખ સરપંચોને મોકલ્યા છે. ગામડું એ ભારતનો આત્મા છે આ ગામડાંને ધબકતું કરવા માટે આવા વિકાસશીલ પગલાં લેવા કેન્દ્રની અને રાજ્યની ભાજપાની સરકાર કટીબધ્ધ છે. કોંગ્રેસ તેમના કુશાસન દરમ્યાન ક્યારેય આ વાત કરતી ન હતી. પહેલાં સરકારમાંથી આપણા હક્કના ૧૦૦ લેવા હોય તો બે જોડી ચપ્પલ ઘસાઇ જતાં હતાં અને તેમાંથી વચેટીયાઓ દ્વારા ૮૫ ખવાઇને બાકીના ૧૫ રૂપિયા જ લાભાર્થીઓને મળતાં હતાં. નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓને પૂરેપૂરી રકમ મળી રહે તે માટે જન ધન યોજનાના ખાતા ખોલાવીને સહાયની રકમ સીધા તેમના ખાતામાં જમા કરાવવાની સવલત પૂરી પાડી. પુરસોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાનો માટે કિસાન સન્માન નીધિ યોજના શરૂ કરી. આ યોજના દેશના એક કરોડ ખેડૂત ખાતેદારોના ખાતામાં પ્રથમ હપ્તાના ૨ હજાર ચૂકવવામાં આવ્યા છે અને બીજા હપ્તાની રકમ  ચૂકવવાની કાર્યવાહી પ્રગતિમાં છે. પહેલાં  જે ખેડૂતો પાસે ર  હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂત ખાતેદારોને ર હજારની સહાય આપવામાં આવતી હતી. પરંતુ હવે આપણા લોકલાડીલા વડાપ્રધાનએ નક્કી કર્યું છે કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણી બાદ ભાજપા સરકાર જે ખેડૂત ખાતેદારનું નામ ૭/૧૨ના ઉતારામાં દાખલ થયેલ હશે તે દરેક ખેડૂત ખાતેદારોને આ સહાયની રકમ આપવામાં આવશે પછી તે નાનો ખેડૂતો હોય કે મોટો ખેડૂત ખાતેદાર હોય. આ ઉપરાંત વડાપ્રધાનએ ખેડૂત ખાતેદારની આવક બમણી કરવા માટે તેમની જમીનમાં સોલાર પેનલ લગાવી વીજ ઉત્પન્ન કરશે. આ  વિજળીમાંથી તેમના વપરાશ સિવાયની વધારાની વિજળી સરકારને વેચવાની પરવાનગી આપવામાં આવશે. વડાપ્રધાનએ તેમના પાંચ વર્ષના શાસનકાળ દરમ્યાન સમાજના દરેક વર્ગની ચિંતા કરી છે અને તેમના વિકાસ માટે અવનવી યોજનાઓ થકી વિવિધ ક્ષેત્રોમાં તેમના ઉત્થાન અંગેની મહત્વની કામગીરી કરી છે.

(9:43 pm IST)