Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ભરૂચ ભાજપના બે નેતાઓની હત્યાના આરોપી મોહમ્મદ યુનુસ ઉર્ફે મંજરાના મંજુર થયા ૩૦ દિવસના જામીન : અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવા મળી રાહત

ભરૂચ ડબલ મર્ડર કેસના આરોપી યુનુસને 30 દિવસના પેરોલ માગ્યા હતા જેને ખાસ કોર્ટે મંજૂર કર્યા છે. આમ આરોપી મોહમ્મદ યુનુસને અંશતઃ રાહત મળી છે. મળતી માહિતી પ્રમાણે મોહમ્મદ યુનુસ ઉર્ફે મંજરાએ મસાના ઓપરેશન માટે 30 દિવસના જામીન માંગ્યા હતા. ઉપરાંત ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે પણ વિનંતી કરી હતી. જોકે, ખાસ અદાલતે આદેશ કર્યો છે કે, આરોપી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવે. આમ કોર્ટે મોહમ્મદ યુનુસને 30 દિવસના જામીન મંજૂર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, બીજી નવેમ્બર, 2015ના રોજ ભરૂચ ભાજપના બે સ્થાનિક નેતાઓ શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિત્રીની પોઇન્ટ બ્લેક રેન્જથી ગોળી મારીને હત્યાના કેસમાં નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ અમદાવાદ સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદના 10 સાથીઓના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. એનડીએ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે ડોન દાઉદ દ્વારા દેશમાં સાપ્રદાયિક તંગદિલી ફેલાવવા માટે ખતરનાક કાવતરું ઘડયું હતું. દાઉદે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને સંઘની સામે કાવતરાઓ ઘડાયા હતા. એનઆઇએ દ્વારા દાવો કરાયો છે કે, પાકિસ્તાનમાં છુપાયેલા દાઉદના નિશાના ઉપર ધાર્મિક અને સંઘના નેતા હતા બલ્કે ચર્ચ પર પણ હુમલાની યોજના હતી. દેશમાં મોદી સરકાર બન્યા બાદ તરત દેશના જુદા જુદા ભાગોમાં તંગદિલી ફેલાવવા અને ચર્ચ તેમ સંઘના નેતાઓ પર હુમલા કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી.

મોટા કાવતરાના ભાગરૂપે ડી કંપનીના શાર્પશૂટરોએ 2 નવેમ્બર 2015ના રોજ ભાજપના નેતા શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિત્રી પર હુમલો કર્યો હતો. ઘટનામાં ગુજરાત એટીએસ દ્વારા પકડવામાં આવેલા શાર્પ શૂટરોએ પોતાના નિવેદનોમાં જણાવ્યું હતું કે, 1993માં મુંબઇના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટના આરોપી યાકુબ મેમણને ફાંસી આપવામાં આવ્યા બાદ તેનો બદલો લેવા માટે હત્યાના અંજામ આપવાનું ખતરનાક કામ કરાયું હતું. તપાસ દરમિયાન ગુજરાત એટીએસ અને એનઆઇએને જાણવા મળ્યું કે ડી કંપનીના પાકિસ્તાન સ્થિત સભ્ય જાવેદ ચિકના અને દક્ષિણ આફ્રિકા મૂળના ઝાહીદ મિયા ઉર્ફે જાજો હિન્દુ નેતાઓની હત્યાના મામલે માસ્ટર માઇન્ડ હતા. તેમની બીજા નેતાઓની હત્યા કરવાની પણ યોજના હતી. હુમલો કરનાર કેટલાક ખતરનાક કાવતરા ધરાવતા હતા.

પોતાની ચાર્જશીટમાં એનઆઇએ દ્વારા ડી કંપનીનાં 10 સભ્યોનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં ધરપકડ કરવામાં આવેલા સાત આરોપીઓનો પણ સમાવેશ થાય છે. જાવેદ ચિકના અને ઝાહીદ મિયાના નામનો ઉલ્લેખ પણ ચાર્જશીટમાં કરવામાં આવ્યો હતો. ઉપરાંત હાજી પટેલ, મોહમ્મદ યુનુસ શેખ, અબ્દુલ સમાન, અબીદ પટેલ, મોહમ્મદ અલતાફ, મોહસીન ખાન અને નિસાર અહેમદનો સમાવેશ હતો.

(11:46 pm IST)