Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

હિંમતનગર-શામળાજી હાઇવે પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ મોતને ભેટ્યા

હિંમતનગર:હિંમતનગર- શામળાજી હાઇવે ઉપર આવેલ અગીયોલ પાસે આજે બપોરના સુમારે સર્જાયેલ કાર અને ટ્રક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર ચાર મુસાફરો પૈકી એક મહિલા, બે નવયુવાનો પુરુષોનાં ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતા. જ્યારે કાર અને ટ્રકના ચાલકને ઈજાઓ થતાં હિંમતનગર સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

જે અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હિંમતનગર- શામળાજી નેશનલ હાઈવે નં. ૮ ઉપર આવેલ અગીયોલ પાસે આજે બપોરના ૩ કલાકના સુમારે જી.જે.૨૭ એપી ૫૯૯ સ્વિફ્ટ કારમાં સવાર થઈને ચાર મુસાફરો અમદાવાદથી રાજસ્થાન તરફ જવા નીકળ્યા હતા. જે દરમિયાન આ કાર હાઈવે ઉપર અગીયોલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક કારનું ટાયર ફાટતાં કાર ફંગોળાઈ સીધી સામેથી આવી રહેલ યુજીવીસીએલ હિંમતનગરની ભારવાહક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ પડતાં કારનો કચ્ચરઘાણ નીકળી જવા સાથે કાર ૪૦ ફૂટ જેટલી ટ્રક સાથે ઘસાડાતાં કાર ટ્રકની અંદર ધુસી જવા પામી હતી. જેના કારણે કારમાં સવાર એક મહિલા સહિત બે પુરુષોના ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે જ પ્રાણ-પંખેરું ઊડી ગયું હતું. જેમની લાશને બે કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢી મૃતકોની લાશને હિંમતનગર સિવિલ ખાતે પી.એમ. અર્થે ખસેડવામાં આવી હતી જ્યારે કાર અને ટ્રકના ચાલકને પણ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

(6:05 pm IST)