Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

રાજપીપળા પોલીસની માનવતાવાદી કામગીરી : દોઢ વર્ષથી વિખૂટા પડેલા પુત્રનું માતા સાથે મિલન કરાવ્યું

પિતાની છત્રછાયા ગુમાવી દીધેલ યુવાન દોઢ વર્ષ પહેલાં ઘરેથી નિકળી ગયા બાદ માતા તેમનો દીકરો મૃત્યુ પામ્યો હોવાનું સમજી બેઠા હતા :રાજપીપળા ટાઉન પીઆઈ આર.જી.ચૌધરી ની સેવાભાવી કાર્યશૈલી થી માતાને દોઢ વર્ષ બાદ દીકરો મળતાં માતાનું માતૃત્વ છલકી ઉઠ્યું અને હૃદય દ્રાવક દ્ર્શ્યો જોવા મળ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા પોલીસ પ્રજાલક્ષી પ્રશંસનીય કાર્ય કરી લોકોમાં પોલીસ માટે રહેલી ખોટી ધારણા કે ડર દૂર કરે છે ત્યારે હાલમાં રાજપીપળા ટાઉન પોલીસે દોઢ વર્ષથી ઘરેથી ચાલી નીકળેલા યુવાનનું પરિવાર સાથે મિલન કરાવતા હૃદય દ્રાવક દ્ર્શ્યો જોવા મળ્યા હતા.

જેમાં મળતી વિગતો અનુસાર રાજપીપળા પોલીસ મથકના પીઆઈ આર.જી.ચૌધરી તેમની ટીમ સાથે રાત્રિ સમયે ટાઉન પેટ્રોલિંગ માં હતા દરમ્યાન વડીયા જકાત નાકા વિસ્તાર માંથી અર્ધ પાગલ જેવો જણતો એક યુવાન મળી આવતા તેની પૂછપરછ કરતા કઈ ખાસ જાણવા નહિ મળતાં તેને પોલીસ સ્ટેશન લાવી ભોજન કરાવી પૂછપરછ કરતા પણ ખાસ જાણકરી નહિ મળી ત્યારબાદ પોલીસ સ્ટાફના એક જવાન એ ગામ તરફના હોય તેમના દ્વારા આ યુવાન નાં પરિવાર નો સંપર્ક કરતા ત્રણ દિવસ બાદ તેની માતા ગામના એક વ્યક્તિ સાથે રાજપીપળા પોલીસ મથકે આવ્યા ત્યારે આ યુવાનનું નામ રમેશભાઈ જયંતીભાઈ રાવળ રહે. ભાલદ,તા. વિસનગર જિ. મહેસાણા હોવાનું જાણવા મળ્યું હતું
પોલીસ મથકે આવેલા માતા નાં જણાવ્યા મુજબ તેમનાં પુત્ર રમેશ નાં પિતા ગુજરી ગયા હોય રમેશ તેમની સાથે રહે છે પરંતુ દોઢ વર્ષ પહેલાં કઈ કહ્યા વિના ક્યાંક ચાલ્યો ગયા બાદ રમેશ ની ઘણી તપાસ કરી છતાં ક્યાંય ભાળ નાં મળતાં પુત્ર મૃત્યુ પામ્યો હશે તેમ માની લીધું અને તેના વિરહ માં કલ્પાંત પણ કર્યું, પુત્ર મરી ગયો તેમ માની લીધા બાદ આજે રાજપીપળા પોલીસ સ્ટેશનના સાહેબ ની સારી કામગીરી નાં કારણે દોઢ વર્ષ બાદ મને મારો પુત્ર જીવિત મળ્યો છે સાહેબે મારા રખડતા પુત્ર ને પોલીસ મથકે લાવી ત્રણ દિવસ સુધી ચાહ,નાસ્તો,ભોજન પણ કરાવ્યું અને આજે દાઢી વાળ કપાવી,સ્નાન કરાવડાવી નવા કપડાં પહેરાવી મારા દીકરાને અમારા ગામ લઈ જવા માટે તૈયાર કરવ્યો હોય માટે હું રાજપીપળા પોલીસનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.
- જોકે અત્યારસુધીમાં રાજપીપળા ટાઉન પોલીસે આવા ત્રણ થી ચાર યુવાનો કે જેઓ પરિવાર થી વિખૂટા પડ્યા હોય તેમને લાવી પરિવારની શોધખોળ કરી જરૂરી મદદ પણ કરી પરિવાર સાથે મિલાપ કરાવ્યો છે ત્યારે ટાઉન પીઆઈ ચૌધરી ની આવી માનવતાવાદી કામગીરી જોઈ જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ વડા સહિત નાઓ એ આ કામગીરી બિરદાવી હતી.

(10:27 pm IST)