News of Saturday, 21st March 2020
અમદાવાદ, તા.૨૧ : ગુજરાત રાજયમાં કોરોનાના એક પછી એક કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે અને તેના કારણે ગઇકાલ કરતાં આજે કોરોના પોઝીટીવના કેસોની સંખ્યા બમણી થઇ ગઇ છે. આજે અમદાવાદમાં વધુ ત્રણ અને વડોદરામાં એક નવો કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૭ થી વધીને ૧૪ થઇ ગઇ છે. આમ અમદાવાદમાં ૫, વડોદરામાં ત્રણ, સુરતમાં ત્રણ, ગાંધીનગરમાં એક અને રાજકોટમાં એક-એક કેસ અત્યાર સુધી પોઝીટીવ નોંધાયા છે. કચ્છમાં પણ મોડી સાંજે એક કેસ સપાટી પર આવ્યો હતો. રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના વાઇરસના ૧૩ જેટલા પોઝીટીવ કેસ નોંધાયા છે. તેમાં ૧૨ જેટલા વિદેશથી આવેલા ભારતીયો છે.
દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આજે સ્પષ્ટ કર્યુ હતું કે, કોરોનાથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવધાની અને સાવચેતી જરૂર રાખવાની છે. ગુજરાતમાં કોરોના વાઇસરની સ્થિતિ ફેઝ ૨ અને ૩ની વચ્ચે છીએ. ગુજરાતમાં કોરોના પોઝીટીવના કુલ ૧૩માંથી પાંચ કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે વડોદરામાં વધુ એક નવો કેસ બહાર આવતા વડોદરા શહેરમાં કુલ પોઝીટીવ કેસ ત્રણ થયા છે. તો, સુરતમાં પણ કોરોના પોઝીટીવના કુલ ત્રણ કેસ થયા છે. આ સિવાય ગાંધીનગર અને રાજકોટમાં એક-એક પોઝિટિવ કેસ સામે આવ્યા છે. દરમ્યાન અસારવા સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર ગુણવંત રાઠોડે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના શંકાસ્પદ કેસોમાં કુલ ૪ કેસ પોઝીટીવ આવ્યા છે જ્યારે ત્રણ કેસના રિપોર્ટ આવવાના બાકી છે. આમ એસવીપી હોસ્પિટલના ૨ અને અસારવા સિવિલના ૪ કેસ મળી અમદાવાદમાં કુલ પાંચ પોઝીટીવ કેસ નોંધાયા છે.
આ સાથે જ કોરોના મુદ્દે ચાર શહેર માટે રાજ્ય સરકાર સજ્જ થઇ ગઇ છે. મોટા શહેરોમાં કોરોનાનો કેર વધતો અટકાવવા માટે ઉચ્ચ અધિકારી અને મંત્રીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે વડોદરા જવા રવાના થયા હતા. કોરોના મામલે ચારેય શહેરો કે જ્યાં પોઝીટીવ કેસ નોંધાયા છે એ શહેરોના નિરીક્ષણની જવાબદારી મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને વડોદરાની જવાબદારી સોંપાતા તેઓ વડોદરા જવા રવાના થયા હતા. તો, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામા રાજકોટ પહોંચ્યા હતા, આ જ પ્રકારે કેબિનેટ મંત્રી ગણપત વસાવા અને મંત્રી કિશોર કાનાણી સુરતમાં મુલાકાતે પહોંચ્યા હતા. ઉપરાંત ચારેય શહેરોમાં પ્રભાવી સચિવની નિમણૂક કરવામાં આવી છે. ચારેય શહેરોમાં પૂર્વ કલેક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ માટે ડો. રાહુલ ગુપ્તા, વડોદરાનું સુપરવીઝન વિનોદ રાવ, સુરતની જવાબદારી એમ.એસ પટેલ અને અમદાવાદની જવાબદારી પંકજકુમારને સોંપવામાં આવી છે.
ગુજરાતમાં અત્યારસુધીમાં ૧૫૦ કોરોના શંકાસ્પદોના સેમ્પલ એકત્ર કરીને પૂણે સ્થિત એનઆઈવીને મોકલી અપાયા છે. આમાંથી ૫ સેમ્પલ ટ્રિપલ ટ્રાયલમાં પોઝિટિવ આવ્યા છે. જ્યારે ૧૨૩ સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને ૨૨ સેમ્પલમાં હજી પણ શંકા જણાઈ હોવાથી તેના પરિણામો પેન્ડીંગ છે. કેસોની સંખ્યામાં વધારો થતાં અમદાવાદ, સુરત, રાજકોટ, અરવલ્લી સહિતના તમામ મોટા વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી છે. અન્ય સાવચેતીના તમામ પગલા પણ લેવાઈ રહ્યા છે. અમદાવાદમાં જેમના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે તેમાંથી એક યુવતી ન્યૂયોર્કથી આવી હતી જ્યારે બીજી મહિલા ફિનલેન્ડથી આવી હતી. જ્યારે વડોદરામાં જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે તે યુવાન સ્પેનથી આવ્યો હતો. આ અંગેની જાહેરાત કરતાં રાજ્યના આરોગ્ય કમિશનર જયંતિ રવિએ જણાવ્યું હતું કે, અત્યારસુધી ગુજરાતમાં જે પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે તે બધા વિદેશથી આવેલી વ્યક્તિના છે, કોઈ લોકલ કે ડોમેસ્ટિક સિટિઝન કેસ પોઝીટીવ આવ્યો નથી.
અમદાવાદમાં કોરોના પોઝીટીવના એક જ દિવસમાં આજે વધુ પાંચ પોઝીટીવ કેસો સામે આવતાં સમગ્ર તંત્ર દોડતુ થઇ ગયુ અને લોકોમાં જબરદસ્ત હડકંપ મચી ગયો છે.
ગુજરાતમાં કોરોના કેસો
અમદાવાદ, તા. ૨૧ : દેશ અને દુનિયાની સાથે સાથે ગુજરાતમાં પણ ઝડપથી કેસોમાં વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાના ક્યાં કેટલા કેસ નોંધાયા તે નીચે મુજબ છે.
શહેર
|
કેસ
|
અમદાવાદ
|
૦૫
|
વડોદરા
|
૦૩
|
સુરત
|
૦૩
|
રાજકોટ
|
૦૧
|
ગાંધીનગર
|
૦૧
|
કચ્છ
|
૦૧
|
ગુજરાતમાં કુલ કેસ
|
૧૪
|