Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

ગ્રામ્ય સમુદાયમાં જાગરુકતા લાવવાના પ્રયાસોની જરૂર છે

ડેરી સહકારી મંડળીઓને કોરોનાને લઇ નિર્દેશો : કોરોના વાયરસને લઇ સલાહ-સૂચનોની સામગ્રી પ્રસારિત

અમદાવાદ,તા. ૨૦ : કોરોના(કોવિડ-૧૯) વાઇરસના પ્રસારને અટકાવવા માટે ભારત સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસોને અનુરૂપ થઈ, એનડીડીબી દ્વારા સમગ્ર દેશના ડેરી મહાસંઘોને આવશ્યક સલાહ-સૂચનોની સામગ્રી પ્રસારિત કરવામાં આવી છે. જાગૃતિ સંબંધિત આ સામગ્રીઓની અસરકારકતાને ધ્યાનમાં રાખી ડેરી બોર્ડે આ મહાસંઘોને તેના વ્યાપક પ્રસાર માટે દૂધ યુનિયનો-ડેરી સહકારી મંડળીઓને સ્થાનિક ભાષાઓમાં અનુવાદ થયેલી આવૃત્તિઓ પૂરી પાડવાની વિનંતી કરી છે. એનડીડીબીના ચેરમેન શ્રી દિલીપ રથે જણાવ્યું હતું કે, ડેરી સહકારી મંડળીઓ ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક નેટવર્ક ધરાવે છે તથા આપણાં ગ્રામ્ય સમુદાયોમાં આ વાઇરસને ફેલાતો અટકાવવા જરૂરી પગલાંઓ અંગે જાગૃતિ ફેલાવવા માટે આ નેટવર્કનો લાભ લેવાનો આ તદ્દન યોગ્ય સમય છે.

        આ ઉપરાંત, આપણે ડેરી પ્લાન્ટ્સમાં કામ કરી રહેલાં આપણા કર્મચારીઓની સલામતીની ખાતરી કરવાની પણ જરૂર છે. જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીમાં ચોખ્ખાઈ અને સ્વચ્છતાભર્યા વ્યવહારો હાથ ધરવા, હાથ મિલાવીને એકબીજાના શારીરિક સંસર્ગમાં આવવાનું ટાળવા, વીડિયો કોન્ફરન્સ દ્વારા મીટિંગ યોજવા, મુલાકાતીઓના પ્રવેશને અટકાવવા-મુલાકાતીઓની તપાસ કરવા, સામાજિક અંતર જાળવવા, શંકાસ્પદોને સૌથી અળગા કરવાની વ્યવસ્થા ગોઠવવા તથા શંકાસ્પદ કેસો માટે પરીક્ષણની સુવિધા ઊભી કરવા મારફતે ડેરી સહકારી મંડળીઓ-ડેરી પ્લાન્ટમાં વાઇરસને ફેલાતો અટકાવવાના સરળ ઉપાયો સૂચવવામાં આવ્યાં છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ પારસ્પરિક એકતા કેળવીને કામ કરવું તથા સીઓવીઆઇડી-૧૯ વાઇરસ સમયસર નિયંત્રિત થઈ જાય તે સુનિશ્ચિત કરવા તમામ શક્ય પગલાં લેવા, અનિચ્છનીય પરિણામોને ટાળવા એ મહત્ત્વપૂર્ણ બની રહે છે.

(9:51 pm IST)