Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે વડોદરાની શાળાના બાળકો દ્વારા નવતર અભિગમ

વડોદરા: એક તરફ સમગ્ર વિશ્વમાં જાણીતી એવી ચકલીઓ હવે વિલુપ્ત થવાના આરે છે.ચકલીઓની પ્રજાતિને બચાવવા માટે ખાસ માળાઓ,માટીના પાણીના વાસણ જેવી વસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવે છે ત્યારે વડોદરાની એક શાળાના વિદ્યાર્થીઓએ અનોખા અભિગમ સાથે વિદ્યાર્થીઓએ ચકલીઓ માટે માત્ર માળા લગાડીને સંતોષ ના માનતા તેઓએ ઊંડી સમજ કેળવી ચકલીઓને પોતાના ઘરે પાછી બોલાવી છે.

શહેરની ખાનગી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતમાં પહેલી વખત ચકલીઓને બચાવવાની અપીલ સાથે ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી છે. આ ડોક્યુમેન્ટ્રી સંપૂર્ણ રીતે વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત,અભિનીત અને દિગ્દર્શિત છે. તેમાં નવી બાબત છે. ખાનગી શાળાના વિદ્યાર્થીઓ વર્ષ 2016માં ચકલીઓ પર આધારિત એક વર્કશોપમાં ગયા હતા. જ્યાંથી પરત આવ્યા બાદ આ વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા ચકલીઓને બચાવવા અને તેમને પરત ઘરોમાં લાવવા માટેના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓએ અનુભવમાંથી શીખ્યું હતું કે માત્ર માળા લટકાવી દેવાથી ચકલીઓ પરત ફરશે નહિ એટલે આ વિદ્યાર્થીઓ દ્વારા ચકલી અંગેની તમામ વિગતો એકત્રિત કરી ચકલીઓને જાણકાર જીવવિજ્ઞાનના પ્રોફેસર પાસેથી જરૂરી માર્ગદર્શન પણ મેળવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા બે ભાગમાં ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી હતી. પહેલા ભાગમાં ગાયબ થઈ રહેલી ચકલીઓ અંગેનું જ્ઞાન સાથે સમજણ મેળવી અનેએ મુજબ ચકલીઓ પર સંશોધન કર્યું જ્યારે ડોક્યુમેન્ટ્રીના બીજા ભાગમાં વિદ્યાર્થીઓએ ચકલીઓ હકીકતમાં પાછી બોલાવી તે અંગેના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે.

મહત્વનું છે કે આ વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ વર્ષથી ચકલીઓને પરત માળામાં કેવી રીતે લાવવી એ અંગે અભિયાન ચલાવ્યું હતું અને આજે ત્રણ વર્ષના લાંબા અંતરાય બાદ 30 વિદ્યાર્થીઓના ગ્રુપમાંથી 19 જેટલા વિદ્યાર્થીઓ ચકલીઓને પાછી બોલાવવામાં સફળ થયા હતા.

વિદ્યાર્થીઓના મનમાં ચકલીઓને લઈને મુંઝવતી સમસ્યાઓને જાણીને શાળાના શિક્ષક અને પ્રકૃતિપ્રેમી હિતાર્થ પંડ્યાએ બાળકોની ચકલીઓ અંગેની જિજ્ઞાશાવૃત્તિને સંતોષવા માટે એમ એસ યુનિવર્સિટીના ઝુઓલોજીના પ્રાધ્યાપકને બોલાવીને બાળકો સાથે એક બેઠક કરાવી હતી.

આ બેઠક બાદ વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ્રી કેવી રીતે બનાવવી અને સ્ક્રીપ્ટ રાઈટીંગ કેવી રીતે કરવું એવા વિષયો સાથેની સમજ આપી હતી. ડોક્યુમેન્ટ્રીના જાણકાર વ્યવસાયી વ્યક્તિની સાથે પણ બાળકોની બેઠક કરાવવામાં આવી હતી અને એકંદરે ત્રણ વર્ષના પરિશ્રમ બાદ 30 જેટલા વિદ્યાર્થીઓના આ ગ્રુપનું ચકલીઓને માળામાં પરત લાવવાનું અભિયાન પૂર્ણ થયું હતું.

(5:13 pm IST)