Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ઉનાના મોટા સમઢીયાળાના દલિત પીડિતોને સરકારે જમીન કે નોકરી આપવાની કોઇ માહિતી ઓનરેકોર્ડ નથીઃ ગૃહમાં રાજ્યમંત્રી ઇશ્વરભાઇ પરમારનો જવાબ

ગાંધીનગર: ઉના તાલુકાના મોટા સમઢીયાળામાં દલિતો ઉપર થયેલા અત્યાચાર મુદ્દે આજે વિધાનસભામાં ધારાસભ્ય  જિજ્ઞેશ મેવાણીઅે રાજ્યમંત્રી ઇશ્વરભાઇ પરમારને પ્રશ્ન પૂછ્યો હતો, જેના જવાબમાં ઉના પીડિતોને જમીન કે નોકરી આપવાનું રાજ્ય સરકારે વચન આપ્યું નથી તેવું જણાવ્યું છે.

જિજ્ઞેશ મેવાણીએ પૂછ્યું હતું કે, “શું 2016માં રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉનાના મોટા સમઢીયાળા ગામમાં ઉનાકાંડના દલિતોને પાંચ એકર જમીન કે નોકરી આપવાનું વચન આપ્યું હતું? જો આપ્યું હોય તો, 31 જાન્યુઆરી, 2018 સુધીમાં એ વચન પૂરું નથી થયું, તો આ વચન ક્યારે પૂરું થશે?” પ્રશ્નના જવાબમાં મંત્રી ઈશ્વરભાઈએ કહ્યું કે, “આવી કોઈ માહિતી ઓન રેકોર્ડ નથી એટલે પ્રશ્ન જ ઉઠતો નથી.

મંત્રીના જવાબ પર પ્રતિક્રિયા આપતાં મેવાણીએ કહ્યું કે, “આ જ દર્શાવે છે કે રૂપાણી સરકારની માનસિકતા દલિત વિરોધી અને સંવેદનહીન છે. આ જ પાર્ટી પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જાહેરમાં ન્યૂઝ ચેનલ્સ અને લોકોની વચ્ચે પીડિત પરિવારોને પાંચ એકર જમીન અને નોકરી આપવાની સાથે જ ગામના દરેક ઘરમાં શૌચાલય બનાવવાની જાહેરાત કરી હતી. આજ દિવસ સુધી પીડિતોને કંઈ મળ્યું નથી જ્યારે મોટા ઉદ્યોગપતિઓને સરકાર લાખો એકર જમીન આપે છે. સરકારે પીડિતોને વર્ગ 4માં પ્યૂનની નોકરી તો આપવી જોઈતી હતી. મે દેશના 19 રાજ્યોની મુલાકાત લીધી, જ્યાં તમામ લોકો ઉનાકાંડના પીડિતોને ન્યાય મળે તેવું ઇચ્છે છે. ગુજરાતની ભાજપ સરકાર તરફથી ગૃહમાં મળેલો જવાબ નિરાશાજનક છે. માટે જ હું પીડિતોના ધર્માંતરણ કરવાના નિર્ણયના સમર્થનમાં છું.

ઉનાકાંડના બે પીડિતોના પિતા બાલુ સરવૈયાએ કહ્યું કે, “પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેને આપેલા વચનોમાંથી એક વચન પણ પાળ્યું નથી. આનંદીબેને પાકા મકાનો, પાંચ એકર જમીન અને નોકરી આપવાનું વચન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે અને સમગ્ર કાર્યવાહી 90 દિવસમાં પૂર્ણ થઈ જશે. પરંતુ ગુજરાત સરકારે એકપણ વચન નિભાવ્યું નથી.

(11:23 pm IST)