Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કોરોનાને કાબુમાં લ્યો : IAS અધિકારીઓને ફાળવેલા જિલ્લાઓમાં 5 દિવસ સુધી રોકાણ કરવા તાકીદ કરાઇ

વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન પુરું પાડવા તાકીદ :સૂચનાનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા હુક્મ

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસોને તથા સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે રાજય સરકાર તરફથી જિલ્લામાં મૂકાયેલા અધિકારીઓને આગામી પાંચ દિવસ સુધી સંબંધિત જિલ્લામાં રોકાણ કરીને વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન પુરું પાડવા તાકીદ કરાઇ છે. આ સૂચનાનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા હુક્મ કરવામાં આવ્યો છે.

એક વર્ષ પહેલાં દેશમાં પ્રવેશેલા કોરોનાએ માર્ચ 2021માં ફરી ઉથલો માર્યો છે. પરિણામ સ્વરુપે કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાતો જાય છે. જેના પગલે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાજય સરકાર દ્વારા આઇ.એ.એસ. અધિકારીઓને સુપરવિઝન માટે જિલ્લાઓમાં નિમણૂંકો કરી હતી. તેમ છતાં કેસોનું પ્રમાણ સતત વધતાં રહેતાં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથ તથા ન્યાયમૂર્તિ ભાર્ગવ કારીઆની ખંડપીઠે પણ સરકારને આ માટેના યોગ્ય અને કડક પગલાં ભરવા માટે ગઇકાલે મંગળવારે નિર્દેશ આપ્યા હતા. આ નિર્દેશના પગલે સરકારે વધુ આકરાં પગલાં લીધાં છે.

તેની સાથોસાથ આજે 7મી માર્ચના રોજ સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ ( સેવા ) અશોક દવેએ રાજયપાલની સૂચનાથી હુકમ જારી કર્યા છે. તેમાં નોવેલ કોરોના વાઇરસ ( કોવિડ 19)ના સંક્રમણને નિયંત્રણમાં રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવતાં પગલાં / કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન પુરું પાડવા તેમ જ કોવિડ વેક્સિનેશનની કામગીરીની સમીક્ષા કરવા તથા અન્ય આનુષાંગિક કામગીરી માટે વિવિધ આઇ.એ.એસ. અધિકારીઓની સંબંધિત જિલ્લાઓમાં નિમણૂંકો કરવામાં આવેલી છે.

આ અધિકારીઓને તેઓને ફાળવવામાં આવેલા જિલ્લાઓમાં આજરોજ અચુક મુલાકાત લેવા તથા નોવેલ કોરોના વાઇરસ ( કોવીડ -19 )ના સંક્રમણને અસરકારક રીતે નિયંત્રણમાં લેવા માટે આગામી પાંચ દિવસ સુધી સંબંધિત જિલ્લા ખાતે રોકાણ કરી / ઉપસ્થિત રહી વહીવટીંત્રને જરૂરી માર્ગદર્શન પુરું પાડવા ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે.

(7:55 pm IST)