Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વધુ એક ઉમદા પહેલ: અમદાવાદ શહેરમાં કોરોના મહામારીને જડમૂળમાથી નાબૂદ કરવાનાં પ્રયાસોનાં ભાગરૂપે હવે હોમ આઇસોલેશનમાં રહેતાં દર્દીનાં ઘરે દરરોજ સંજીવની વાન મોકલાશે

સંજીવની વાનમા દરેક અર્બન હેલ્થ સેન્ટર દીઠ તાલીમબધ્ધ પેરામેડિકલ સ્ટાફની નિમણુંક કરવામાં આવી: બ્લડપ્રેશર, ઓક્સિજન લેવલ, ટેમ્પરેચર સહિતની તબીબી તપાસ કરશે, વિટામીન સી અને ડી સહિતની જરૂરી દવા પણ પૂરી પાડશે : કામગીરી માટે ૭૫ ટીમ કાર્યરત : પ્રત્યેક ટીમ દરરોજ ૧૦ દર્દીઓની મુલાકાત લેશે અને સાંજ પડયે એકત્રિત કરેલી માહિતી સંલગ્ન ડોકટર અને મ્યુનિ.હેલ્થ ખાતાને પૂરી પાડશે

રાજકોટ તા .૮ , અમદાવાદ શહેરમાં કોરોના મહામારીને જડમૂળમાથી નાબૂદ કરવાનાં પ્રયાસોનાં ભાગરૂપે હવે રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુ એક નિર્ણય લીધો છે. 

એ મુજબ હોમ આઇસોલેશનમાં રહેતાં દર્દીનાં ઘરે દરરોજ સંજીવની વાન મોકલાશે અને દર્દીની તબીબી તપાસ કરીને જરૂરી દવા પણ અપાશે. શહેરમાં કોરોના વાયરસ સામેના જંગમાં શ્રેણીબધ્ધ પગલા લેવાઇ રહયાં છે અને તેના સારા પરિણામ સામે આવી રહયાં છે. કોરોના મહામારીની શરૂઆતનાં તબક્કામાં હોસ્પિટલની સેવા અને વોર્ડ ઝોન કન્ટેન્મેન્ટ વગેરે પ્રકારની કામગીરી થતી હતી, પછી એક સાથે અનેક રણનીતિ અમલમાં મુકવામાં આવી હતી.

 જેમાં કોવિડ કેર સેન્ટર, કોવિડ કોરન્ટાઇન સેન્ટર, ખાનગી હોસ્પિટલોનાં સંપાદન તથા છેવટે જેને લક્ષણ વગરનો કોરોના હોય કે તંદુરસ્તી સારી હોય તેવા વ્યક્તિને હોમ આઇસોલેશન જેવા પગલા લેવામાં આવ્યા તેનાથી શહેરમાં કોરોના મહામારીની પરિસ્થિતિ એકંદરે સુધારા ઉપર આવી ગઇ છે. કોરોના પોઝિટિવ કેસ તથા એકટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે અને કોરોનામાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા ઉત્તરોઉત્તર વધી રહી છે. આ ઉપરાંત કોરોના સામે ધન્વન્તરી રથને મેદાનમાં ઉતારવામાં આવતાં નાગરિકોને ઘરઆંગણે જ કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો તથા અન્ય બિમારીની સારવાર મળી તેનાથી પણ કોરોના મહામારી વધુ ફેલાતી અટકી છે.

હોમ આઇસોલેશનમાં રહેતાં દર્દીઓનાં નિયમિત નિદાન થાય અને તેમની સાથે પરિવારજનોની તબિયતની પણ પૃચ્છા થાય તેવા ઉમદા હેતુથી કોરોના સંજીવની વાન સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ સંજીવની વાન માટે દરેક અર્બન હેલ્થ સેન્ટર દીઠ તાલીમબધ્ધ પેરામેડિકલ સ્ટાફની નિમણુંક કરવામાં આવી છે, જે અર્બન હેલ્થ સેન્ટર વિસ્તારમાં હોમ આઇસોલેશનમાં રહેતાં કોરોના દર્દીઓની રોજ મુલાકાત લેશે અને બ્લડપ્રેશર, ઓક્સિજન લેવલ, ટેમ્પ્રેચર સહિતની તબીબી તપાસ કરશે. ઉપરાંત વિટામીન સી અને ડી સહિતની જરૂરી દવા પણ પૂરી પાડશે. આ કામગીરી માટે ૭૫ ટીમ બનાવવામાં આવી છે અને આ ટીમ દરરોજ ૧૦ દર્દીઓની મુલાકાત લેશે અને સાંજ પડયે એકત્રિત કરેલી માહિતી સંલગ્ન ડોકટર અને મ્યુનિ.હેલ્થ ખાતાને પૂરી પાડશે. તેના આધારે હોમ આઇસોલેશનમાં રહેતાં દર્દીઓની તબિયત સુધારા ઉપર છે કે કેમ અથવા તો હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે કે કેમ તે નક્કી કરી શકાશે.

(1:23 pm IST)