Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

વિદેશથી આવનારા NRI ગુજરાતીઓ પોતાના જિલ્લામાં પણ આઈસોલેશનમાં રહી શકશે

સરકાર દ્વારા તેમને કવોરેન્ટાઈન કરવા અંગે કેટલીક છૂટછાટો આપવામાં આવી છે

અમદાવાદ, તા.૩૦: કોરોના લોકડાઉનને કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને વંદે મિશન અંતર્ગત પરત ભારત લાવવામાં આવી રહ્યા છે. આ મિશન અંતર્ગત ગુજરાતના પણ કેટલાય વિદેશ ફરવા ગયેલા પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને નોકરીયાત અને વર્ષોથી સ્થાયી થયેલા NRI ગુજરાતી પણ મોટી સંખ્યામાં પરત ફરી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા તેમને કવોરેન્ટાઈન કરવા અંગે કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ હવે NRI ગુજરાતીઓ તેમના વતનના જિલ્લામાં આઈસોલેશનમાં રહી શકશે.

સામાન્ય વહીવટ વિભાગના NRI અધિક સચિવ દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ વિદેશથી આવતા ગુજરાતીઓ પરત ફરે ત્યારે કવોરેન્ટાઈન થવા અંગે જારી કરાયેલી સૂચનાઓમાં કેટલાક સુધારા કરાયા છે. જે મુજબ વંદે ભારત મિશન હેઠળ ભારત સરકાર દ્વારા વિદેશથી આવનારા ગુજરાતી મુસાફરો માટે હવે તેમના વતન જિલ્લામાં ૭ દિવસની પેઈડ અથવા અનપેઈડ કવોરેન્ટાઈન થવાની પરવાનગી આપવાની રહેશે. તે પછીના સાત દિવસ હોમ કવોરેન્ટાઈન રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વિદેશથી આવતા ગુજરાતીઓને પોતાના જિલ્લામાં રહેવા માટે મંજૂરી નહોતી.

મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદ અને સુરતમાં પણ કવોરેન્ટાઈનમાં રહેવા માટે મંજૂરી આપવામાં આવી છે. અગાઉ અમદાવાદ અને સુરતનો મોટાભાગનો વિસ્તાર કોરોના રેડ ઝોનમાં હતો તેથી શહેરની હદ બહારની હોટલોમાં આઈસોલેશન માટે મંજૂરી હતી. તેમા પરિસ્થિતિ સુધરતા હવે AMC અને SMC હદ વિસ્તારમાં કોવિડ કે સેન્ટર કે હોટલમાં અને ત્યારબાદ ઘરમાં આઈસોલેશનમાં રહી શકશે. રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ્સ સહિતની વર્ક મેથડ યથાવત રહેશે.

(4:04 pm IST)