Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

બન્ને સાધુને ફસાવી વિડીઓ શૂટ કરવા કહેવાયેલ !!

જૈન સમાજમાં ખળભળાટ સર્જતા બનાવમાં નવો વળાંક : યુવતિઓએ પોલિસ નિવેદનમાં કર્યો ધડાકો : યુવતિઓનો દાવો છે કે સાધુઓ સાથે કોઇ શરીર સંબંધ બંધાયા નહોતા : બળાત્કાર થયો જ નથી : ફરીયાદ ખોટી છે ! : સુરતની યુવતી સાથે બન્ને જૈન સાધુઓએ શારીરિક સુખ માણ્યું હતુ કે નહીં ? યુવતીઓએ પોલીસ નિવેદનમાં કર્યો મોટો ધડાકોઃ એબીપી અસ્મિતાનો હેવાલ

હિંમતનગરઃ. ઈડરના જૈન દેરાસર અને પાવાપુરી સંમેત શિખર તીર્થધામ સંસ્થાના પ્રમુખ કલ્યાણસાગર અને રાજતિલકસાગર સાથે શારીરિક સંબંધો બાંધ્યાની ફરીયાદ કરનારી પરીણિતાએ ફરીયાદથી અલગ જ નિવેદન આપતા આ કેસમાં નવો વળાંક આવ્યો છે.

સુરત રહેતી પરીણિતાએ નિવેદન આપ્યુ છે કે, ફરીયાદી ટ્રસ્ટી ડો. આશિષ દોશીએ યુવતીને મેનેજર અને પતિને ટ્રસ્ટી બનાવવાની લાલચ આપીને બન્ને મહારાજને ફસાવીને વિડીયો શૂટ કરવા લાલચ આપીને બળાત્કારની ફરીયાદ નોંધાવવા જણાવ્યુ હતુ તેમ એબીપી અસ્મિતાનો અહેવાલ જણાવે છે.

પીડિતાએ કહ્યું કે રાજતિલકસાગરે પતિને પૂજાપાઠ માટે બોલાવતા સપરિવાર ૨૬ ડીસેમ્બર ૨૦૧૯ના રોજ ઈડર આવ્યા હતા. એ સમયે પાવાપુરીના ટ્રસ્ટી આશિત દોશી, તેના ભાઈ પરાગ દોશી અને મનીષ દોશી તેના પતિને મળ્યા હતા. કલ્યાણસાગર મહારાજ અને રાજતિલકસાગર મહારાજે અનેક મહિલા અનુયાયીઓ સાથે વ્યાભિચાર કર્યો છે તેથી જૈન અનુશાસન અને ધર્મને ભારે નુકશાન પહોંચ્યુ હોવાથી તેમની સામે પુરાવા એકત્ર કરવામાં મદદ માગી હતી તેમ એબીપી અસ્મિતાનો અહેવાલ નોંધે છે.

પરીણિતાનો આક્ષેપ છે કે તેમણે વિડીયો કેમેરાથી સજ્જ એક લેડીઝ પર્સ આપ્યુ હતુ. યુવતીએ આ શૂટીંગ કરવુ તેના માટે અઘરૂ હોવાનું જણાવ્યુ હતુ અને બન્ને મહારાજ પણ નહી ફસાશે એમ કહ્યુ હતુ. આશિત દોશી અને તેના બન્ને ભાઈઓએ તેમના બાળકોને કબ્જે કરીને ધમકી આપીને આ કામ કરવા કહ્યું હતું તેથી પોતે તૈયાર થઈ હતી. ત્રણેય ભાઈએ તેમને ઘેનની ગોળીઓ આપી હતી. જે પૈકી બબ્બે ગોળી બન્ને મહારાજોના જમવામાં ભેળવી અને બે ગોળી પોતે લીધી હતી. ત્યાર બાદ બન્ને મહારાજને અલગ અલગ રૂમમાં મળી હતી અને અમુક મર્યાદા સુધીની હરકતોનું વિડીયો રેકોર્ડિંગ કર્યુ હતું તેમ આ અહેવાલ કહે છે.

યુવતીનો દાવો છે કે સાધુઓ સાથે કોઈ શારીરિક સંબંધો બંધાયા નહોતા કે બળાત્કાર થયો નહોતો. આ ઘટના પછી યુવતીના પતિ ત્યાં જ રોકાઈ ગયા હતા અને તેમને બીજા દિવસે આશિત દોશી અને તેના ભાઈઓએ વિડીયો બતાવીને પોલીસ ફરીયાદ કરવા જણાવ્યુ હતુ. એક મહિના અગાઉ આશિત દોશીએ પીડિતાના પતિને તમામ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને બન્ને મહારાજો વિરૂદ્ધ બળાત્કારની ફરીયાદ કરવા કહ્યુ હતુ. પરિણીતાએ તેના નિવેદનમાં ઈડર પોલીસ મથકે ૨૨ જૂને તેના નામ સાથે નોંધાયેલી ફરીયાદ ખોટી હોવાનું પીડિતાએ નિવેદન આપતા મામલો ગૂંચવાયો છે.

(4:01 pm IST)