Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

લોકડાઉન : ગરીબોને જરૂરી તમામ વસ્તુ ઉપલબ્ધ મળશે

શ્રમજીવી, રોજની કમાઈ રોજ ખાનારને રાહત : ૬૦ લાખ પરિવારોના સવા ત્રણ કરોડ જેટલા અંત્યોદયને એપ્રિલ માસમાં વિના મુલ્ય એક માસનું રાશન ઉપલબ્ધ

અમદાવાદ,તા.૨૫  : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતીમાં સમગ્ર દેશમાં ર૧ દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં શ્રમજીવી વર્ગો અને રોજનું કમાઇને રોજ ખાનારા અને જીવનનિર્વાહ કરનારા પરિવારો પ્રત્યે સંવેદના દાખવી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આવા કારીગરો, ગરીબ, શ્રમજીવીના કુલ ૬૦ લાખ જેટલા પરિવારોના ૩.રપ કરોડ લોકોને આ લોકડાઉન દરમિયાન ખાવા-પીવાની ચીજવસ્તુ અને અનાજની કોઇ તકલીફ ન પડે તે માટે આ રેશનકાર્ડ ધારક પરિવારોને ૧ એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી વ્યકિત દીઠ ૩.પ૦ કિલો ઘઉં, વ્યકિત દીઠ ૧.પ૦ કિલો ચોખા અને કુટુંબ દીઠ ૧ કિલો ખાંડ, ૧ કિલો દાળ અને ૧ કિલો મીઠું વિનામૂલ્યે અપાશે. વિજય રૂપાણીએ જણાવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણથી નાગરિકોને બચાવવા લોકડાઉનની જાહેરાત પ્રધાનમંત્રીએ કરી છે તે સ્થિતીમાં આવા નાના અને ગરીબ પરિવારોને કોઇ જીવનનિર્વાહમાં મુશ્કેલી ન પડે તે માટેની સંવેદના સાથે રાજ્ય સરકારે ચિંતા કરીને આ મહત્વનો નિર્ણય કર્યો છે.

            જીવન આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠામાં કે અન્ય કોઇ પણ આવશ્યક સેવાઓમાં ભવિષ્યમાં પણ કોઇ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર પૂરી ગંભીરતાથી આયોજન કરી રહી છે એમ પણ તેમણે જણાવ્યું છે. વિજય રૂપાણીએ સૌ નાગરિક ભાઇ-બહેનોને ફરી એકવાર અપિલ કરી કે આ ર૧ દિવસ દરમિયાન સૌ ઘરમાં જ રહે, બહાર ભેગા ન થાય, આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો રાજ્યમાં પુરતી માત્રમાં છે એટલે તેનો સંગ્રહ કરવા કે આવી ચીજવસ્તુઓ મળશે નહિ તેવો ડર રાખવાની પણ કોઇ જરૂર નથી.

(8:46 pm IST)