Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ઠાસરાના જાલાપુર ગામે પિયર જવાનું કહીને નીકળેલ પરિણીતા સહીત પુત્રીની લાશ કેનાલમાંથી મળી આવતા ચકચાર

ઠાસરા :તાલુકાના જાલાપુર ગામે રહેતી પરણિતા અને તેની દીકરીની લાશો જુદા-જુદા દિવસોએ જુદા-જુદા સ્થળો પરથી મળતા ચકચાર મચી છે. પીયર જવાનું કહી સાસરીમાંથી નિકળેલી પરણીતા અને પુત્રીની લાશો મળતાં જ તેઓએ આત્મહત્યા કરી છે કે હત્યા કરવામાં આવી છે તેને લઈને તપાસનો દોર હાથ ધરાયો છે.

ઠાસરા તાલુકાના ઝાલાપુર ગામે રહેતા દશરતસિહ પ્રભાતસિંહ ચાવડાના લગ્ન થોડા સમય પહેલા નડિયાદ તાલુકાના પીપળાતા ગામે ઉદેસિહની દીકરી દિપીકાબેન સાથે થયા હતા. જેમને લગ્ન સમયગાળા દરમ્યાન સંતાનમાં બે વર્ષની દીકરી હતી. ગત તા.૨૫ નવેમ્બરના રોજ સવારે ૯ વાગ્યે દિપીકાબેને પીયર જવાનું છે તેમ કહી સાસરેથી નિકળી ગયા હતા, પરંતુ તેઓ પીયર પહોચ્યા ન હતા. ત્યાર બાદ તા.૨૭ નવેમ્બરના રોજ દિપીકાબેનની લાસ ઓડ ગામની સીમમાંથી પસાર થતી કેનાલના પાણીમાંથી મળી આવી હતી. જે અંગે જેતે પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી હતી. ત્યારબાદ દિપીકાબેન સાથે નિકળેલી ૨ વર્ષની દીકરી રાગીણી ક્યા ગઇ? તેની શોધખોળ ચાલુ હતી. પરંતુ ગત રોજ તા.૩૦ નવેમ્બરના ઠાસરા તાલુકાના મંજીપુરા ગામ પાસેથી પસાર થતી કેનાલના નાળામાંથી ૨ વર્ષની રાગીણીની લાસ પણ મળી આવી હતી. આમ માતા અને પુત્રી બંનેની લાશો કેનાલોમાંથી મળી આવતા ચાવડા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. જોકે બંને મા-દીકરીની કોઇએ હત્યા કરી કે પછી માતાએ દીકરીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી લીધી તે બાબતે ડાકોર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

(6:06 pm IST)